સુરત તક્ષશિલા અગ્નિકાંડમાં ૨૨ વિદ્યાર્થીઓના ભોગ લેનારી ઘટના ઘટી ગયા બાદ અમદાવાદમાં પણ હવે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા કોચિંગ ક્લાસ લગામ કસવાનો તખ્તો સરકાર દ્વારા ઘડાઈ રહ્યો છે. હવે ખાનગી કોચિંગ કલાસ ચાલુ કરતાં પૂર્વે તંત્રની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત કરાશે.
ગયા સપ્તાહે સળગતી ચિતા બની ગયેલી તક્ષશિલા હોનારત બાદ કોચિંગ કલાસનો મુદ્દો હવે સળગતો પ્રશ્ન બની ગયો છે. રાજ્યભરમાં હજુ સુધી કોઈ નિયમ બંધારણ કે પોલિસી બનાવેલી નહીં હોઈને શિક્ષણના નામે વેપાર કરવા નીકળી પડેલા દલાલોને અત્યારે સુધી ઘી કેળાં હતાં. ખાનગી શાળાઓની જેમજ તગડી ફી વસૂલી કરી લેતા સંચાલકો વિદ્યાર્થીઓની સલામતીના મુદ્દે સદંતર ઉપેક્ષિત છે.
તક્ષશિલાના અગનખેલ બાદ સરકાર સફાળી જાગી છે, અને આ દિશામાં તાબડતોબ પોલિસી ડિઝાઇન બનાવવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. સરકાર દ્વારા નિયુક્ત તપાસ અધિકારી સચિવ મૂકેશ પુરી દ્વારા પણ કોચિંગ ક્લાસીસનું શાળાઓની જેમ જ રજિસ્ટ્રેશન તથા વિદ્યાર્થીઓની સલામતીના મુદ્દે સંચાલકોની જવાબદારી નક્કી કરવા માટેના ચક્રો ગતિમાન કરાયાં હોવાનું જાણવા મળે છે. હવે આ પોલિસી હેઠળ કોચિંગ કલાસના મુદ્દે આકરા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે.
સૌ પ્રથમ તો પાલિકા, નગરપાલિકા, મહાનગરપાલિકામાં કોચિંગ કલાસના માલિકો કે સંચાલકોએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જેમાં ફાયર સેફટી અને પાર્કિંગ સહિતના તમામ મુદ્દાઓ આવરી લેવાશે. જે સ્થળે ક્લાસીસ ચલાવવાના હશે તે બિલ્ડિંગને બાંધકામની મંજૂરી મળી છે કે કેમ તેની પણ ચકાસણી થશે જેનાં પૂરતાં પ્રમાણ સંચાલકે આપ્યા બાદ જ કોચિંગ કલાસનું રજિસ્ટ્રેશન થઈ શકશે. આ નિયમ ખૂબ જ ઝડપથી લાગુ થવા જઈ રહ્યો છે.