વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાનું શુક્રવારે સવારે 3.30 વાગ્યે નિધન થયું હતું. પીએમ મોદીના માતા હીરાબાની અંતિમ વિદાયની ઘણી ભાવનાત્મક તસવીરો સામે આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાનું નિધન
અંતિમ વિદાયમાં રાજનેતાઓનો લાગ્યો નહોતો કોઈ મેળો
અંતિમ વિદાયની ઘણી ભાવનાત્મક તસવીરો સામે આવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાનું શુક્રવારે સવારે 3.30 વાગ્યે નિધન થયું હતું. તેમની ઉંમર 100 વર્ષની હતી. પીએમ મોદીએ માતાને મુખાગ્નિ અર્પણ કરી. ગાંધીનગરના સેક્ટર-30 સ્થિત સ્મશાનભૂમિ ખાતે તેમના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. પીએમ મોદીના માતા હીરાબાની અંતિમ વિદાયની ઘણી ભાવનાત્મક તસવીરો સામે આવી છે.
સૌથી મોટી વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની માતાના અંતિમ સંસ્કાર ખૂબ જ સાધારણ રીતે સંપન્ન કરાવ્યા. કહેવા માટે તો તેઓ દેશના વડાપ્રધાન છે, પરંતુ તેમની માતાની અંતિમ વિદાયમાં રાજનેતાઓનો કોઈ મેળો લાગ્યો નહોતો. તેમની તરફથી પહેલાથી જ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ભાજપ શાસિત રાજ્યના કોઈ મુખ્યમંત્રી અહીં નહીં આવે.
જે સમયે પીએમ મોદીએ તેમની માતાને મુખાગ્નિ અર્પણ કરી હતી, તે સમયે માત્ર તેમના ભાઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેટલાક નજીકના લોકો જ હાજર હતા. વડાપ્રધાન મોદીએ તેમની માતાના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રીત રિવાજ સાથે કર્યા હતા. અંતિમ સંસ્કાર વખતે પીએમની આંખો ભીની હતી, માતાને ગુમાવવાનું દુઃખ તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું.
જાણકારી માટે તમને જણાવી દઈએ કે, PM મોદીના માતા હીરાબાને મંગળવારે અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. આ સિવાય તેમને કફની ફરિયાદ પણ હતી. આ પછી તેમને તાત્કાલિક અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલના કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તબીબોએ તેમની તબિયત સ્થિર હોવાનું જણાવ્યું હતું, પરંતુ શુક્રવારે સવારે તેઓ આ દુનિયાને અલવિદા કહીને કાયમ માટે ચાલ્યા ગયા.
પીએમ મોદીએ ટ્વિટ કરીને માતા હીરાબાને શ્રદ્ધાંજલિ આપી. પીએમ મોદીએ લખ્યું કે, જ્યારે હું તેમને તેમના 100માં જન્મદિવસ પર મળ્યો હતો, ત્યારે તેમણે એક વાત કહી હતી, જે હંમેશા યાદ રહે છે કે કામ કરો બુદ્ધિથી, જીવન જીવો શુદ્ધિથી.
પીએમે લખ્યું, “એક ગૌરવપૂર્ણ શતાબ્ધીનું ભગવાનના ચરણોમાં વિરામ… માતામાં મેં હંમેશા તે ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, એક નિરંતર કર્મયોગીનું પ્રતીક છે. અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન સમાયેલ છે.” એમ મોદી જ્યારે પણ ગુજરાતની મુલાકાતે આવતા હતા, ત્યારે તેમની માતા મળવા જતા હતા. તેમની તે દરેક મુલાકાતની ઘણી ભાવુક કરતી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. ઘણા કાર્યક્રમોમાં પણ ખુદ પીએમએ પોતાની માતાનો ઉલ્લેખ કરીને ઘણું બધું કહ્યું છે.