ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદીઓને પાંચમા નોરતે મેટ્રોની ભેટ આપશે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-1માં થલતેજ ગામથી વસ્ત્રાલ ગામના રૂટની મેટ્રો ટ્રેનનો શુભારંભ PM નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. આગામી 30 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી હેલ્મેટ સર્કલ પાસેથી ટ્રેનને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવશે.
ફેઝ-1ના રૂટમાં 38 સ્ટેશનનું નિરીક્ષણ પણ થઈ ગયું
અમદાવાદીઓ માટે જાહેર ટ્રાન્સપોર્ટેશનમાં એક નવી માધ્યમ ઉમેરાવા જઈ રહ્યો છે. અહી વાત થઈ રહી છે મેટ્રો ટ્રેનની. અમદાવાદના ફેઝ-1ના રૂટ પર નવરાત્રી પૂર્ણ થાય એ પહેલા મેટ્રો ટ્રેન દોડતી જોવા મળી શકે છે. હાલ અમદાવાદમાં વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન દોડી રહી છે. જોકે, હવે એ દિવસો દૂર નથી જ્યારે ફેઝ-1માં મેટ્રો ટ્રેન દોડતી જોવા મળે. કેમ કે ફેઝ-1નું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થવાના આરે છે. ફેઝ-1ના રૂટમાં 38 સ્ટેશનનું નિરીક્ષણ પણ થઈ ગયું છે.
પીએમ મોદી 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે જેની અમદાવાદીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ મેટ્રો ટ્રેનને પીએમ મોદી લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવશે. 30મી સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી પૂર્વથી પશ્ચિમ છેડાને જોડતા થલતેજ ગામથી વસ્ત્રાલ ગામના રૂટની મેટ્રો ટ્રેનનો શુભારંભ કરાવશે.
તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ
આ માટે અમદાવાદ કોર્પોરેશન, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. આપને જણાવી દઈએ કે, અમદાવાદમાં AMTS અને BRTS બસ તો પહેલાથી જ દોડે છે. પણ હવે જો મેટ્રો ટ્રેન શરૂ થશે તો લોકોને ભીડથી પણ રાહત થશે સાથે જ ભાડામાં પણ રાહત મળશે. પૂર્વ અને પશ્ચિમ કોરિડોરમાં થલતેજ ગામ, દૂરદર્શન કેન્દ્ર, ગુજરાત યુનિવર્સિટી, કોમર્સ છ રસ્તા, સ્ટેડિયમ, જૂની હાઈકોર્ટ, શાહપુર, ઘી કાંટા, કાલુપુર રેલવે સ્ટેશન, કાંકરિયા પૂર્વ, એપરેલ પાર્ક, અમરાઈવાડી, રબારી કોલોની, વસ્ત્રાલ,નિરાંત ક્રોસ રોડ અને વસ્ત્રાલ ગામ સ્ટેશન હશે.
પ્રથમ દિવસે હશે માત્ર 5 રૂપિયા ભાડું
એક રિપોર્ટ અનુસાર, મેટ્રો ટ્રેન શરૂ થયાના પ્રથમ દિવસે ટિકિટ માત્ર 5 રૂપિયા હશે. જ્યારે અન્ય દિવસોમાં મેટ્રો ટ્રેનમાં APMCથી વસ્ત્રાલ સુધીની ટિકિટ 25 રૂપિયા હશે. આ ઉપરાંત થલતેજથી વસ્ત્રાલ ગામ સુધીનું ભાડું પણ 25 રૂપિયા જ હશે. આ ઉપરાંત મેટ્રો રેલ કોર્પોરેશન કનેક્ટિવિટી માટે ઈ-રિક્ષા ચલાવવા પ્લાનિંગ કરી રહ્યું છે. મેટ્રો સ્ટેશનથી મુસાફરો મહત્વના સ્થળો પર ઝડપથી પહોંચી શકે તે અંગેની પણ વ્યવસ્થાઓ અંગે વિચારણા મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. ST સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન સાથે મેટ્રો સ્ટેશનને સીધા જોડવા માટે ઈ-રિક્ષા દોડતી કરાશે.