મોદી કેબિનેટ દ્વારા આજે રામ મંદિર ટ્રસ્ટને મંજૂરી આપવામાં આવી છે. સંસદમાં પીએમ મોદીએ જણાવ્યું છે કે 'શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર' ના ટ્રસ્ટના ગઠનનો પ્રસ્તાવ રાખ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે કેબિનેટની બેઠકમાં સરકારે આ અંગેનો નિર્ણય લીધો છે. લોકસભામાં પીએમ મોદીએ આ સાથે અયોધ્યામાં સરકાર દ્વારા હસ્તગત કરાયેલ 67 એકર જમીન પણ ટ્રસ્ટને આપવા અંગેની વાત જણાવી.
રામ મંદિર નિર્માણ પર સરકારની જાહેરાત
પીએમ મોદીએ ટ્રસ્ટ બનાવાનું કર્યું એલાન
કેન્દ્ર દ્વારા હસ્તગત કરાયેલી જમીન પણ ટ્રસ્ટને અપાઇ
1992 માં બાબરી મસ્જિદનો ઢાંચો તોડી પાડ્યા બાદ જ્યારે વિવાદ થયો હતો, ત્યાર બાદ 1993માં અયોધ્યામાં વિવાદિત સ્થળ સહિત આસપાસની અંદાજે 67 એકર જમીન કેન્દ્ર સરકાર દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. ત્યારથી આ જમીન કેન્દ્ર સરકાર પાસે હતી, પરંતુ હવે સરકાર દ્વારા આ રામ મંદિર ટ્રસ્ટને સોંપી દેવામાં આવી છે.
આમ હવે 67 એકર ગેર-વિવાદિત જમીન અને 2.5 એકર વિવાદિત જમીન બંને રામ મંદિર ટ્રસ્ટની પાસે હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે 'શ્રીરામ મંદિર તીર્થ ક્ષેત્ર' જ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ અને તેને સંબંધિત નિર્ણયો લેશે.
આ અંગેનું એલાન સંસદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે. જો કે સૂત્રોને મળતી જાણકારી મુજબ પીએમ મોદી ટ્રસ્ટના સભ્યોના નામની પણ જાહેરાત કરે તેવી સંભાવના છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ 87 દિવસે આ અંગેની રૂપરેખા તૈયાર થઇ ચુકી છે. પીએમ મોદીએ લોકસભામાં સંબોધન શરૂકરતાં કહ્યું કે રામ જન્મભૂમિ મુદ્દો મારા દિલની નજીક છે.
પીએમ મોદીએ લોકસભામાં કહ્યું કે રામ મંદિર બનાવવા પર યોજના તૈયાર થઇ ગઇ છે. 5 એકર જમીન સુન્ની વકફ બોર્ડને આપવામાં આવશે.