આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી પ્રચાર માટે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યાં છે.
આજે PM મોદી સુરતની મુલાકાતે
PM એરપોર્ટથી મોટા વરાછા બાયરોડ જશે
PM મોદી ગોપીન ફાર્મ ખાતે સભા કરશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. હાલ રાજ્યમાં બરાબરનો ચૂંટણીનો માહોલ જામ્યો છે અને તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. કેન્દ્રીય નેતાઓ ઉપરા ઉપરી રોડ શૉ અને સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી પ્રચાર માટે ગુજરાત આવી રહ્યા છે. આજે PM મોદી સુરતની મુલાકાતે આવી રહ્યાં છે. PM એરપોર્ટ ખાતે ઉતાર્યા બાદ મોટા વરાછાના ગોપીન ફાર્મ સુધી 32 કિલોમીટર બાયરોડ જશે. જ્યાં ગોપીન ફાર્મ ખાતે જંગી જનસભા ગજવશે. બીજી તરફ વડાપ્રધાનના આગમનને લઇને સભા અને રૂટ પર અડચણ ન થાય તે માટે વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. વાહનોની અવર જવર અને પાર્કિંગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
સુરક્ષાને ધ્યાને લઇને લોખંડી બંદોબસ્ત ગોઠવાયો
વડાપ્રધાનની મુલાકાતને પગલે વાહનચાલકોને અન્ય રૂટ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. બીજી બાજુ PMની સુરક્ષાને ધ્યાને લઇને લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેમાં DCP-14, ACP-22 PI-70, PSI-130 સહીત 1500 પોલીસકર્મી બંદોબસ્તમાં રહેશે. ઉપરાંત હોમગાર્ડ-1000, TRB-500 અને SRPની 4 કંપનીઓના જવાનો પણ સૂરક્ષામાં તેનાત રહેશે.
PM મોદી ફરી આવશે ગુજરાત
પ્રધાનમંત્રી મોદી આજે ફરી 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. 2 દિવસમાં પીએમ મોદી 7 સભાને સંબોધન કરશે. તેઓ ખેડા, નેત્રંગ અને સુરતમાં સભાને સંબોધન કરશે. જ્યારે પીએમ મોદીની 28 નવેમ્બરે અંજાર, જામનગર, પાલીતાણા અને રાજકોટમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. તેવામાં ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ ગઈકાલે 4 જિલ્લામાં 5 જનસભા સંબોધી હતી. જેમાં અમરેલી, ભાવનગર, વડોદરા, અમદાવાદ અને અમરેલી જિલ્લામાં સભાઓ ગજવી હતી. તો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્ર પ્રધાન, પરસોત્તમ રૂપાલા પ્રચાર કરી રહ્યાં છે. તેઓ પણ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જાહેર સભાને સંબોધશે.