વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે એટલે કે ધનતેરસ પર 10 લાખ કર્મચારીઓ માટે ભરતી અભિયાન એટલે કે રોજગાર મેળાની શરૂઆત કરવામાં આવી હતી. આ તકે તેમણે જણાવ્યું હતું કે, બેરોજગારી અને સ્વ-રોજગારીની 100 વર્ષની સમસ્યાને 100 દિવસોમાં ઉકેલી શકાતી નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે ધનતેરસના અવસર પર રોજગાર મેળાનો શુભારંભ કરવામાં આવ્યો છે. 10 લાખથી વધુ યુવાનોને રોજગાર આપવા મહાઅભિયાન હાથ ધરાયું છે. આ રોજગાર મેળાની શરૂઆત સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના 75,000 નવા ભરતી થયેલા યુવાનોને ઑફર લેટર એટલે કે નિમણૂક પત્ર સોંપ્યા હતા. પીએમ મોદીએ રોજગાર મેળાને સંબોધતા ઓફર લેટર મેળવનાર નવા ભરતી થયેલા યુવાનોને પ્રોત્સાહિત કરતા કહ્યું હતું કે, સરકારી નોકરી એ સેવા નથી, પરંતુ દેશની સેવા કરવાની અને દેશ માટે કામ કરવાની તક છે.
100 દિવલમાં ઉકેલી શકાતી નથી બેરોજગારી અને સ્વ-રોજગારીની સમસ્યા
આ તકે પીએમ મોદીએ કહ્યું હતું કે, બેરોજગારી અને સ્વ-રોજગારીની 100 વર્ષની સમસ્યાને 100 દિવસોમાં ઉકેલી શકાતી નથી. તેમણે કહ્યું હતું કે, રોજગાર મેળો છેલ્લા 8 વર્ષોમાં રોજગાર, સ્વરોજગાર માટે સરકારના પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ સાબિત થયો છે. પીએમ મોદીએ કહ્યું હતું કે, સરકાર મેન્યુફેક્ચરિંગ, પર્યટન પર વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, કારણ કે તે ઘણી નોકરીઓનું સર્જન કરે છે.
યુવાનો માટે ઉભી થઈ રહી છે રોજગારીની તકો
વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, રોજગારની ઘણી નવી તકો ઊભી થઈ રહી છે. આજે વાહનોથી માંડીને મેટ્રો કોચ, ટ્રેનના કોચ, સંરક્ષણના સાધનો સહિત અનેક ક્ષેત્રોમાં નિકાસ ઝડપથી વધી રહી છે. આ ફક્ત એટલા માટે શક્ય બની રહ્યું છે કારણ કે ભારતમાં ફેક્ટરીઓ વધી રહી છે અને સાથે જ કામદારોની સંખ્યા પણ વધી રહી છે. ભારત સરકાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 100 લાખ કરોડ રૂપિયાથી વધારેનું લક્ષ્ય લઈને ચાલી રહી છે. આટલા મોટા પાયા પર થઈ રહેલા વિકાસ કાર્યોથી સ્થાનિક યુવાનો માટે લાખો રોજગારીની તકો ઉભી થઈ રહી છે.
આજે સ્ટાર્ટ-અપની સંખ્યા 80 હજારને વટાવી ગઈ છેઃ PM
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સ્ટાર્ટ અપ ઈન્ડિયા અભિયાને દેશના યુવાનોની ક્ષમતાને સમગ્ર વિશ્વમાં સ્થાપિત કરી છે. વર્ષ 2014 સુધી જ્યાં દેશમાં માત્ર થોડાક સ્ટાર્ટ-અપ હતા, આજે આ સંખ્યા 80 હજારને વટાવી ગઈ છે. 21મી સદીમાં દેશનું સૌથી મહત્વાકાંક્ષી મિશન છે- મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત. તેમણે કહ્યું હતું કે, આજે દેશ ઘણા કિસ્સાઓમાં એક મોટા આયાતકારમાંથી ખૂબ મોટા નિકાસકારની ભૂમિકામાં આવી રહ્યો છે. એવા ઘણા સેક્ટર છે, જેમાં ભારત આજે વૈશ્વિક હબ બનવાની તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.
Addressing the Rozgar Mela where appointment letters are being handed over to the newly inducted appointees. https://t.co/LFD3jHYNIn
એક લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયો ખાદી અને ગ્રામોદ્યોગ: PM
પીએમ મોદીએ કહ્યું હતું કે, ગામડાઓમાં મોટી સંખ્યામાં રોજગાર નિર્માણનું વધુ એક ઉદાહરણ આપણી ખાદી અને ગ્રામોદ્યોગ છે. દેશમાં પહેલીવાર ખાદી અને ગ્રામોદ્યોગ એક લાખ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. આ વર્ષોમાં ખાદી અને ગ્રામોદ્યોગમાં એક કરોડથી વધુ નોકરીઓનું સર્જન થયું છે. આમાં પણ મોટી સંખ્યામાં આપણી બહેનોનો હિસ્સો છે.
આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે: વડાપ્રધાન
પીએમએ કહ્યું હતું કે, આજે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. 7-8 વર્ષમાં આપણે 10 નંબરથી 5માં નંબર પર છલાંગ લગાવી. આ એટલા માટે શક્ય બની રહ્યું છે કારણ કે છેલ્લા આઠ વર્ષમાં આપણે દેશની અર્થવ્યવસ્થાની ખામીઓ દૂર કરી છે, જે અવરોધો ઊભી કરતી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે વિકસિત ભારતના સંકલ્પની સિદ્ધિ માટે આપણે આત્મનિર્ભર ભારતના માર્ગ પર ચાલી રહ્યા છીએ. આમાં આપણા ઇનોવેટર્સ, ઉદ્યોગસાહસિકો, ખેડૂતો, સેવા અને ઉત્પાદન સહયોગીઓની ભૂમિકા છે.
પીએમ મોદીએ કહ્યું હતું કે, આજે કેન્દ્ર સરકાર 75 હજાર યુવાનોને નિમણૂક પત્ર આપી રહી છે. છેલ્લા 8 વર્ષમાં પહેલા પણ લાખો યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે. આજનો દિવસ ભારતની યુવા શક્તિ માટે મહત્વપૂર્ણ અવસર છે. છેલ્લા આઠ વર્ષથી દેશમાં રોજગાર અને સ્વરોજગારનું અભિયાન ચાલી રહ્યું છે, આજે તેમાં વધુ એક કડી જોડાઈ રહી છે. આ જોબ ફેરની કડી છે. આજે કેન્દ્ર સરકાર 75 હજાર યુવાનોને નિમણૂક પત્ર આપી રહી છે. આપણે આત્મનિર્ભર ભારતના પગલા પર ચાલી રહ્યા છીએ. જો કે, આ દરમિયાન તેમણે તમામ દેશવાસીઓને ધનતેરસની શુભકામનાઓ પાઠવી હતી.
10 લાખ ભરતીઓ કરવાનો આદેશ
આ વર્ષે જૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોને મિશન મોડ દ્વારા 10 લાખ પદો પર ભરતી કરવાનો નિર્દેશ આપ્યો હતો. વડાપ્રધાને તમામ સરકારી વિભાગો અને મંત્રાલયોમાં માનવ સંસાધનની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ નિર્દેશ આપ્યો હતો. PMOએ કહ્યું કે વડાપ્રધાનના નિર્દેશો અનુસાર તમામ મંત્રાલયો અને વિભાગો સ્વીકૃત પદો સામે હાલની ખાલી જગ્યાઓ ભરવા માટે મિશન મોડમાં કામ કરી રહ્યા છે.
38 મંત્રાલયોમાં કરવામાં આવી છે આ નિમણૂક
દેશભરમાંથી પસંદ કરાયેલા નવા કર્મચારીઓને ભારત સરકારના 38 મંત્રાલયો અને વિભાગોમાં નિયુક્ત કરવામાં આવશે. નવનિયુક્ત કર્મચારીઓ વિવિધ સ્તરો પર સરકારમાં સામેલ થશે. ઉદાહરણ તરીકે ગ્રુપ-એ, ગ્રુપ-બી (રાજપત્રિત), ગ્રુપ-બી (નોન-ગેઝેટેડ) અને ગ્રુપ-સી. પીએમઓએ કહ્યું કે, જે પોસ્ટ માટે નિમણૂક કરવામાં આવી રહી છે તેમાં સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સ પર્સનલ, સબ ઈન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, એલડીસી, સ્ટેનો, પીએ, ઈન્કમ ટેક્સ નિરીક્ષક, એમટીએસ અને અન્યનો સમાવેશ થાય છે.