લોકસભા ચૂંટણી ર૦૧૯ના પ્રચાર અભિયાન સમાપ્ત થવાની સાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે બાબા કેદારના દરબારમાં પહોંચી ગયા હતા અને કેદારનાથ મંદિરમાં અડધા કલાક સુધી પૂજા-અર્ચના અને અભિષેક કર્યાં હતાં.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે દહેરાદૂનના જોલીગ્રાન્ટ એરપોર્ટથી આર્મીનાં હેલિકોપ્ટર દ્વારા કેદારનાથ પહોંચ્યા હતા. જ્યાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના પહાડો પર ધારણ કરવામાં આવતાં સ્પેશિયલ ડ્રેસમાં સજ્જ થઇને બાબા કેદારનાથના મંદિરમાં પ્રવેશ કર્યો હતો. આ ડ્રેસને ગઢવાલી પોષાક તરીકે પણ ઓળખવામાં આવે છે. માથે ટોપી ધારણ કરીને હાથમાં છડી લઇને પહાડી ગઢવાલી ડ્રેસમાં સજ્જ મોદીએ કેદારનાથ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર અને વિધિ વિધાન વચ્ચે પૂજા અર્ચના અને અભિષેક કર્યાં હતાં. પોતાના મતક્ષેત્ર વારાણસીમાં આવતી કાલે યોજાનાર મતદાન પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથમાં રાષ્ટ્રવિજયી થવા માટે આશીર્વાદ મેળવ્યા હતા.
મંદિરની બહાર એકત્ર થયેલ માનવ મહેરામણ સાથે પણ મોદીએ મુલાકાત કરી હતી. લોકોએ પીએમ મોદીને ફૂલ આપીને તેમનું સ્વાગત કર્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના સંદર્ભમાં કડક સુરક્ષા જાપતો ગોઠવવામાં આવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેદારનાથમાં પૂજા-અર્ચના કરી. જે બાદ પુજારીઓએ પીએમ મોદીને બાઘમ્બર ભેટ કર્યું. જ્યારે પીએમ મોદીએ મંદિરમાં એક કુંતલ વજનનો ઘંટ અર્પિત કર્યો. માન્યતા છે કે જ્યારે કોઇ વ્યક્તિની મનોકામના પૂરી થઇ જાય છે ત્યારે તે મંદિરમાં ચઢાવે છે. ઘણીવાર લોકો બાધા લેવાના સમયે પણ તેને ચઢાવે છે. પીએમ મોદીએ મંદિરની પરિક્રમા કરી. પરિક્રમા બાદ પીએમે બદરી-કેદારનાથ મંદિર સમિતિના પદાધિકારીઓને શાલ ઉઢાડી અને સ્મૃતિ ચિન્હ ભેટ આપી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે ૬૦૦થી વધુ સુરક્ષા જવાનો કેદારનાથ પહોંચી ગયા હતા. એસપીજીની ટીમે ત્રણ દિવસથી કેદારનાથ ધામમાં ડેરા તંબુ નાખ્યા હતા. હવે પૂજા અર્ચના બાદ વડા પ્રધાન મોદી કેદારનાથમાં બનેલી ગુફામાં ધ્યાન અને ચિંતન સાથે શિવ સાધના કરશે. કેદારનાથ ધામની ઊંચાઇ સમુદ્ર સપાટીથી ૧૧,૭૦૦ ફૂટ છે. જ્યારે મંદિર સંકુલથી દોઢ કિલોમીટર દૂર આવેલી ગુફાની ઊંચાઇ ૧ર,ર૦૦ ફૂટ છે. જ્યાં મોદી ધ્યાન ધરીને શિવ સાધના કરશે.
નરેન્દ્ર મોદી કેદારનાથમાં જ રાત્રી રોકાણ કરશે. તેથી સુરક્ષા વ્યવસ્થાને જડબેસલાક કરવામાં આવી છે. આવતી કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સવારે ૮-પપ કલાકે બદરીનાથ જવા રવાના થશે. મોદી બદરીનાથમાં પણ વૈદિક વિધિ વિધાન સાથે પૂજાઅર્ચન કરશે. ભગવાન બદરીનાથનાં દર્શન કરીને મોદી ભગવાન બદરીનાથનાં અભિષેક પૂજા કરશે.