યુપીના ગાઝિયાબાદમાં સ્કૂલ બસમાં બેસીને સ્કૂલે આવતા ચોથા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીનું ટક્કરને કારણે મોત થયું હતું.
યુપીના ગાઝિયાબાદમાં બની ઘટના
સ્કૂલ બસમાં છોકરાને થઈ ઉલટી
બારીમાંથી માથું બહાર કાઢ્યું
રોડ સાઈડના થાંભલા સાથે અફળાયું માથુ
સ્કૂલ બસમાં જ થયું મોત
બસમાં છોકરાઓને સ્કૂલે મોકલતા વાલીઓ હવે ચેતવાની જરુર છે. સ્કૂલ બસમાં જઈ રહેલા એક વિદ્યાર્થીનું ટક્કર વાગવાને કારણે મોત થયું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં સ્કૂલ બસમાં બેઠેલા એક બાળકના મોતથી હડકંપ મચી ગયો હતો. ચોથા ધોરણમાં ભણતા બાળકને માથામાં કંઈક વાગતા તેનું મોત નીપજ્યું હતું. ચોથા ધોરણમાં ભણતા અનુરાગ નેહરા નામનો છોકરો સવારમાં બસમાં બેસીને સ્કૂલે આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં ઉલ્ટી થતા તેણે માથુ બહાર કાઢ્યું હતુ અને તેનું માથું થાંભલા સાથે જોરદાર રીતે અથડાયું હતું અને આ ઘટનામાં તે ગંભીર રીતે ઘવાયો હતો અને સ્કૂલ બસમાં જ તેનું મોત થયું હતું. ઘટના બન્યા બાદ ચાલક નાસી છૂટ્યો હતો. પોલીસે સ્કૂલ સાથે સંકળાયેલા કેટલાક લોકોની અટકાયત કરી છે. પોલીસ અને પરિવહન વિભાગ અકસ્માતના કારણોની તપાસ કરી રહ્યા છે.
ઘટના બાદ લોકો રોષે ભરાયા, સ્કૂલમાં જઈને તોડફોડ કરી
ચોથા ધોરણનો વિદ્યાર્થી અનુરાગ નેહરા સવારે ઘરેથી સ્કૂલ બસમાં આવી રહ્યો હતો, ત્યારે જ તે અકસ્માતનો ભોગ બન્યો હતો. અકસ્માત બાદ સ્કૂલ બસમાં તેના લોહીના ડાઘા અને તૂટેલા કાચ જોવા મળ્યાં હતા. મોતના આ ભયાનક દ્રશ્યને જોઈને લોકો ચોંકી ગયા હતા, જે બાદ લોકોએ સ્કૂલમાં જઈને તોડફોડ કરી હતી.
ડ્રાઇવરની બેદરકારીને કારણે અમારા છોકરાનું મોત થયું-પરિવારનો આરોપ
પરિવારના સભ્યોનું કહેવું છે કે અનુરાગ એકદમ ઠીક હતો અને સ્કૂલ બસના ડ્રાઇવરની બેદરકારીને કારણે તેનો જીવ ગયો હતો. પરિવારનું કહેવું છે કે સ્કૂલ મેનેજમેન્ટે તેમને કહ્યું કે અનુરાગને ઉલટીની લાગણી થઈ રહી છે, જે બાદ તેણે પોતાનું માથું બહાર કાઢ્યું જે થાંભલા સાથે અથડાયું કે બીજું કંઈક. ત્યાર બાદ તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. માસૂમના પિતા અંકુર મહેરાએ સ્કૂલ પ્રશાસન પર બેદરકારીનો આરોપ લગાવ્યો છે.