ભેંસાણના ગોરવિયાડી ગામની પ્રાથમિક શાળાની છતમાંથી પોપળા ખરી પડતા સળિયાઓ દેખાઈ રહ્યા છે. 4-4 વર્ષથી શાળા સમારકામની રાહ જોઈ રહી હોવાથી સ્કૂલ જ નહીં સિસ્ટમ પણ જર્જરિત હોય તેવો ઘાટ સર્જાયો છે.
ભેંસાણના ગોરવિયાડી ગામની પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં
વર્ષ 2018થી સ્કૂલની ઇમારત ખખડધજ હાલત
3 ક્લાસરૂમમાં 107 વિદ્યાર્થીઓનો કરી રહ્યા છે ભયના ઓથાર હેઠળ અભ્યાસ
જુનાગઢ જિલ્લાના ગોરવિયાડી ગામની પ્રાથમિક શાળા જર્જરિત હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ ભણતરના પાઠ ભણી રહ્યા છે. બીજી તરફ આ અંગે અનેક રજુઆત કરવા છતાં સબંધિત વિભાગ દ્વારા આ દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. વિકાસની વાતો વચ્ચે રાજ્યમાં જર્જરિત હાલતમાં રહેલી શાળો તંત્રની વાસ્તવિકા દર્શાવી રહી છે. જેના નવીનીકરણ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી વાલીઓ માંગ ઉઠાવી રહ્યા છે.
2018 થી શાળાની ઇમારત ખખડધજ હાલતમાં
ભેસાણ તાલુકાના છેવાડાના ગામ એવા ગોરવિયાડીમાં આશરે એક હજારની વસ્તી રહે છે. આ ગામના આગેવાનોએ જણાવ્યું હતું કે વર્ષ 2018 થી શાળાની ઇમારત ખખડધજ હાલતમાં છે. જેને લઈને આ મામલે જવાબદાર તંત્ર સમક્ષ અનેક વખત રજૂવાત કરવામાં આવી છે.પરંતુ હજુ સુધી આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી. જેથી પ્રા.શાળાના જર્જરિતરૂમમાં બાળકો બેસી અભ્યાસ કરી રહ્યા છે. 4-4 વર્ષ વિત્યા છતાં સ્કૂલની ઇમારતના સમારકામને લઇને નિર્ણય નહીં
કરાતા તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
શિક્ષકોની પણ ઘટ
આ પ્રાથમિક શાળાની ઇમારતમાં કુલ ત્રણ ક્લાસરૂમ આવેલા છે જેમાં એકથી આઠ ધોરણના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જેમાં કુલ 107 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. બીજી બાજુ પાંચ શિક્ષક હાલ ફરજ બજાવી રહ્યા છે. જેમા એક શિક્ષકની અછત હોવાનું પણ જાણવા મળ્યું હતું. આવી સ્થિતિ વચ્ચે ભણશે ગુજરાતના દાવા કરતી રાજ્ય સરકાર, જૂનાગઢ અને અમરેલી જિલ્લાની મધ્યમાં આવેલ ગોરવિયાડી ગામની પ્રાથમિક શાળાની ઇમારતને નવીનકોર બનાવે તેવી ગામનાં આગેવાનો માંગ ઉઠાવી રહ્યા છે.