અમદાવાદ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા સાબરમતી નદીના પશ્ચિમ અને પૂર્વ કાંઠાનો કરોડો રૂપિયાના ખર્ચે વિકાસ કરાયો છે. રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ ફેઝ-1 પૂર્ણ કરાયા બાદ હવે તંત્રે ફેઝ-2 પ્રોજેક્ટ હાથ પર લીધો છે, જે અંતર્ગત હવે નાગરિકો છેક ઇન્દિરાબ્રિજ સુધી ફરતા થઈ જાય તે પ્રકારનું આયોજન હાથ ધરાયું છે. ફેઝ-2 હેઠળ મ્યુનિ. તિજોરીમાંથી રૂ. ૮.૫૦ કરોડ ખર્ચાશે. દરમિયાન, સત્તાવાળાઓએ પશ્ચિમ કાંઠા પર બરાજથી ઇન્દિરાબ્રિજ સુધી ડાયાફ્રામ વોલ, એન્કર સ્લેબ અને લોઅર પ્રોમિનોડ તૈયાર કરવાની દિશામાં હિલચાલ આરંભી છે. આ માટે રૂ. ૧૧૩.૬૦ કરોડનું ટેન્ડર પણ પ્રસિદ્ધ કરાયું છે. ફેઝ-2માં પૂર્વ કાંઠા બાદ હવે પશ્ચિમ કાંઠામાં પણ તબક્કાવાર કામગીરી હાથ ધરવા મ્યુનિ. સત્તાધીશો આગળ વધી રહ્યા છે.
રિવરફ્રન્ટની નયનરમ્યતાને આગળ ધપાવવા ફેઝ-2 પ્રોજેકટ હાથ ધરાયો
અમદાવાદીઓ માટે સાબરમતી રિવરફ્રન્ટ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સાંજ પડતાંની સાથે સેંકડો લોકો પરિવાર સાથે રિવરફ્રન્ટ પર લટાર મારવા નીકળી પડે છે. રિવરફ્રન્ટ હવે લાખો અમદાવાદીઓ માટે નવલું નજરાણું બન્યો હોઈ તેની દેશ-વિદેશમાં પણ ભારે પ્રશંસા થઈ રહી છે. સત્તાવાળાઓએ ફેઝ-1 હેઠળની રિવરફ્રન્ટની નયનરમ્યતાને આગળ ધપાવવા ફેઝ-2 હાથ પર લીધો છે. પહેલાં પૂર્વ કાંઠાના ઇન્દિરાબ્રિજ સુધી તેને વિકસિત કરવાનાં ચક્રો ગતિમાન કરાયાં છે. રિવરફ્રન્ટ પ્રોજેક્ટ-2 હેઠળ કેન્ટોન્મેન્ટ પાછળના ભાગમાં કેન્ટોન્મેન્ટ બોર્ડ સાથે થયેલા એમઓયુ મુજબ જમીન મળતાં તંત્રે શાહીબાગ ડફનાળાથી કેમ્પ સદર બજારના ૧.૨૫ કિ.મી.ના પટ્ટાને વિકસિત કરવા માટે જાન્યુઆરી-૨૦૨૧માં ટેન્ડર બહાર પાડ્યાં હતાં, જેમાં ડાયાફ્રામ વોલ તૈયાર કરવા તેમજ માટીકામ માટે રૂ. ૮૦.૬૪ કરોડ, સ્ટેપ્ડ એમ્બેકમેન્ટમાં રિટેનિંગ વોલ તૈયાર કરવા માટે રૂ. ૩૬.૪૨ કરોડ વગેરેનો ખર્ચ નક્કી કરાયો છે. ત્યાર બાદ કેમ્પ સદર બજારથી ઇન્દિરાબ્રિજ સુધીના આશરે ૩.૮ કિ.મી. લાંબા પટ્ટામાં નદીમાં ૫૦ ફૂટ ઊંડી અને બે ફૂટ જાડી એવી આરસીસીની ડાયાફ્રામ વોલ તૈયાર કરવા રૂ. ૧૫૦ કરોડનાં ટેન્ડર બહાર પાડ્યાં હતાં.
રિવરફ્રન્ટ ફેઝ-2 ના કામ પાછળ રૂ. ૧૧૩.૬૦ કરોડ ખર્ચાશે
હવે પશ્ચિમ કાંઠામાં બરાજ-કમ-બ્રિજથી ઇન્દિરાબ્રિજ સુધી ડાયાફ્રામ વોલ અને લોઅર પ્રોમિનોડ બનાવવાનું કામ હાથ પર લેવાયું છે. આ કામ પાછળ રૂ. ૧૧૩.૬૦ કરોડ ખર્ચાશે. જીએસટી વગરના આ અંદાજિત ખર્ચમાં કુલ ચાર કિ.મી.ની લંબાઈમાં પ્રોજેક્ટ હાથ ધરાશે. મ્યુનિસિપલ સત્તાવાળાઓએ આ પ્રોજેક્ટ વર્ષ ૨૦૦૪-૦૫ દરમિયાન ઇન્દિરાબ્રિજથી કોટેશ્વર તરફ અગાઉ બનાવાયેલી ડાયાફ્રામ વોલને ઉપયોગમાં લેવાનો નિર્ણય કર્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ફેઝ-2 હેઠળ અમદાવાદ જિલ્લાનાં ચાર ગામની આશરે નદી તરફની ૭૨ હેક્ટર જમીનનો આગોતરો કબજો તંત્રને મળી ગયો છે, જ્યારે ગાંધીનગર જિલ્લાનાં બે ગામની નદી તરફની ૨૦ હેક્ટર જમીનનો હજુ કબજો મળ્યો નથી. ગાંધીનગર જિલ્લાના ભાટ અને કોટેશ્વર ગામની નદીની જમીન હજુ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડને ફાળવાઈ નથી, પરંતુ આ જમીન મેળવવાની અપેક્ષાએ સત્તાધીશો ફેઝ-2માં આગળ વધવાના છે.
૧૨ મહિનામાં કામ પૂરું કરાશે
આ ફેઝ માટે ઓનલાઇન બિડ મોકલવાની છેલ્લી તા. ૧૭ ઓગસ્ટ છે. એક વખત સૌથી ઓછા ભાવના કોન્ટ્રાક્ટરને કામ સોંપાઈ જશે ત્યાર બાદ આ કામને ૧૨ મહિનામાં કોન્ટ્રાક્ટરે પૂરું કરવાનું રહેશે, જોકે ચોમાસાના ચાર મહિનાનો સમાવેશ કામની સમયમર્યાદામાં થતો નથી એટલે નવેમ્બર-૨૦૨૩માં પશ્ચિમ કાંઠાની ડાયાફ્રામ વોલનો પ્રોજેક્ટ પૂર્ણ થાય તેમ લાગે છે. વધુમાં પૂર્વ કાંઠે શાહીબાગ ડફનાળાથી બરાજ વચ્ચે ૫૫ ટકા અને બરાજથી ઇન્દિરાબ્રિજ વચ્ચે સાત ટકા કામગીરી થઈ છે. ત્યાં પણ ડાયાફ્રામ વોલ બનાવાઈ રહી છે.