સુરતઃ પેટ્રોલ અને ડીઝલમાં સતત વધી રહેલા ભાવ વધારાને લઈ કોંગ્રેસે આવતીકાલે બંધનું એલાન જાહેર કર્યું છે. ત્યારે સુરત શહેર કોંગ્રેસે પણ પત્રકાર પરિષદનું આયોજન કરી બંધના એલાનને આવકાર્યું છે. વિવિધ સંગઠનોએ તેમને સહકાર આપ્યો હોવાની પણ વાત શહેર કોંગ્રેસ પ્રમુખે વર્ણવી છે. કોંગ્રેસે શહેરીજનોને અહિંસક માર્ગે બંધના એલાનને સહકાર આપવા પણ વિનંતી કરી છે.
વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ
ભારત બંધને સફળ બનાવવા વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ હતી. બંધને લઈને કોંગ્રેસે પત્રકારોને સંબોધ્યા હતા. પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ મૌલીન વૈષ્ણવએ જણાવ્યું હતું કે ગત મનમોહનસિંઘ કોંગ્રેસની સરકારમાં ક્રૂડ ઓઈલના ભાવ હાલના ભાવ કરતા ઓછા હતા તેમ છતાં આજે પેટ્રોલ-ડીઝલના ભાવ મોંઘા થયા છે. ત્યારે હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદી 2014ની ચૂંટણી પહેલાના પ્રચારના પ્રવચનો દરમિયાન કોંગ્રેસની અણ આવડત વિશે વાતો કરતા હતા.
તે વાતોને આજે કોંગ્રેસ અને પ્રજા શું સમજે તે પ્રશ્ન છે. શૈક્ષણિક સંસ્થાઓ સહિત વેપારીઓ મહાજનો સૌના માટે બંધનું એલાન કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ છે. આ બંધ આવતીકાલે સવારથી સાંજ દરમિયાન પાડવામાં આવશે. બંધની અસર સરકારી કે પ્રાઈવેટ હોસ્પિટલો ઉપર અસર જોવા નહી મળે.