અલ્પેશના રાજીનામાની અટકળો વચ્ચે ધવલસિંહ ઝાલાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમા તેમણે અલ્પેશ ઠાકોર અંગે વાત કરતા કહ્યું હતું કે, અલ્પેશ ઠાકોર હાલ ગુજરાતની બહાર છે.
આ સાથે જ તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ દ્વારા ઠાકોર સમાજની અવગણા થઇ રહી છે અને મારા માટે સમાજ મોટો છે. જો તે કહેશે તો રાજીનામું આપી દઇએ. આ સાથે જ કોર કમિટી સાથે ચર્ચા બાદ નિર્ણય જાહેર કરવામાં આવશે. તો ધવલ સિંહ ઝાલાએ વધુમાં કહ્યું કે, પાર્ટીને અમે આગાઉ પણ રજૂઆત કરી છે પરંતુ કોઇ ચોક્કસ ઉકેલ આવ્યો નથી એટલે જો નહીં ફાવે તો રાજકારણ મુકી દઇશું.
અલ્પેશ ઠાકોરને અલ્ટીમેટમ
ઠાકોર સેનાના હોદ્દેદારો દ્વારા અલ્પેશ ઠાકોરને અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. ઠાકોર સેનાના હોદ્દેદારોએ અલ્પેશ ઠાકોરને 24 કલાકમાં કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપવા માટે અલ્ટિમેટમ આપ્યું છે.
આ મામલે બાયડના ધારાસભ્ય ધવલસિંહે પણ દાવો કર્યો છે કે, અલ્પેશ ઠાકોર 24 કલાકમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે. ક્ષત્રિય ઠાકોર સેનાની કોર કમિટીમાં નિર્ણય કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસમાંથી રાજીનામું આપવા અલ્પેશે પ્રિપ્લાન રચ્યું હોવા ચર્ચા વહેતી થઈ છે.
અલ્પેશ ઠાકોર મામલે ઠાકોર સેનાના રામજી ઠાકોરે પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે, કોંગ્રેસ છોડવાનો નિર્ણય ઠાકોર સેનાનો નથી. ઠાકોર સેના કોંગ્રેસની સાથે જ રહેશે. અલ્પેશ કોંગ્રેસ છોડે તો તેમનો અંગત નિર્ણય હશે.
કારણ કે બેઠકમાં અમને જાણ કરવામાં આવી નથી. બેઠકમાં અમને બોલાવવામાં નથી આવ્યા. ઠાકોર સેનાને કોંગ્રેસથી કોઈ વાંધો નથી. અલ્પેશ કેમ નારાજ છે તેની બેઠકમાં ચર્ચા કરીશુ.
અલ્પેશ ઠાકોર આજે કોંગ્રેસમાંથી રાજીનામું આપી શકે છે. ત્યારે હવે એવી અટકળો પણ તેજ બની છે કે અલ્પેશ ઠાકોર રાજીનામા બાદ ભાજપમાં નહીં જોડાય. પણ ભાજપની બી ટીમ બનીને કામ કરશે અને ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસની વિરુદ્ધમાં પ્રચાર કરશે.
રણનીતિના ભાગરૂપે અલ્પેશ ઠાકોર કોંગ્રેસના હોદ્દાઓ પરથી રાજીનામું આપી દેશે અને ચૂંટણી સમયે ભાજપમાં જોડાયાની બદનામીથી બચવા માટે ભાજપની બહાર રહીને જ ભાજપને ફાયદો પહોંચાડવાનું કામ કરી શકે છે.
કોંગ્રેસ તરફથી ઠાકોર સમાજને અન્યાય થયાનું કારણ ધરીને જ અલ્પેશ ઠાકોર કોંગ્રેસ વિરુદ્ધ પ્રચાર કરી શકે છે..અને લોકસભાની ચૂંટણીમાં અલ્પેશ ભાજપને બહારથી સપોર્ટ આપી શકે છે.
બેચરાજીના ધારાસભ્યનું નિવેદન
અલ્પેશ ઠાકોર મુદ્દે હવે બેચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોરે નિવેદન આપ્યું છે. ભરત ઠાકોરે કહ્યું કે, આજે સાંજે 4 કલાકે ઠાકોર સેનાની અમદાવાદ ખાતે બેઠક મળશે. ધવલસિંહ ઝાલા અને અલ્પેશ ઠાકોર પણ ઉપસ્થિત રહી શકે છે. અલ્પેશ ઠાકોર મુદ્દે ઠાકોર સેનાની કોર કમિટીમાં ચર્ચા થશે.