નવી દિલ્હીઃ દેશમાં બની રહેલાં કઠુઆ અને ઉન્નાવ જેવી ઘટનાના પગલે 12 વર્ષથી નાની ઉંમરની બાળકીઓ પર બળત્કાર કરનારા આરોપીઓને મોતની સજા પર રાષ્ટ્રપતિએ મહોર લગાવી છે. શનિવારે કેન્દ્ર સરકારે રજૂ કરેલા અધ્યાદેશ પર રાષ્ટ્રપતિએ આજે મહોર લગાવી છે.
સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા અધ્યાદેશ મુજબ ભારતીય દંડ સંહિતા સાબિતી કાયદા ક્રિમિનલ પ્રોગ્રામ સંહિતા અને બાળ જાતીય ગુનાખોરી કાયદામાં સુધારો કરવાની જોગાવાઈ છે. જેના દ્વારા આવા ગુનાઓના દોષિતોને મોતની સજાની પણ જોગવાઈ કરવાની વાત કરવામાં આવી છે.
જે મુજબ 16 વર્ષથી ઓછી ઉંમરવાળી કિશોરીઓ અને 12 વર્ષથી ઓછી ઉંમરની બાળકીઓ પર દુષ્કર્મ મામલે દોષિતોને મોતની સજા ફરમાવવાની માગ કરી છે. ઉપરાંત બળાત્કારના મુદ્દે ઝડપી ન્યાય પ્રક્રિયા અને સુનાવણી માટે પણ અનેક સૂચનો આપવામાં આવ્યા છે. મહિલા સાથે બળાત્કારના કેસમાં સજાને 7 વર્ષથી વધારીને 10 વર્ષ કરવામાં આવી અને જેને વધારીને ઉમરકેદ પણ કરવામાં આવી શકે છે.
તો 16 વર્ષથી ઓછી ઉંમર વાળી કિશોરી સાથે દુષ્કર્મ મામલે દોષિતોને ઓછામાં ઓછી 10 વર્ષની સજાને વધારીને 20 વર્ષ કરવામાં આવી છે. જેને ઉમરકેદમાં પણ ફેરવી શકાય તેવી શક્યતા છે. તો 16 વર્ષથી ઓછી ઉંમરની કિશોરીઓ સાથે સામૂહિક બળાત્કાર કેસમાં દોષિતોને જીવનપર્યત જેલની સજા થશે.