રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સવર્ણોને આર્થિક 10 ટકા અનામતની મંજૂરી આપી દીધી છે. આ સાથે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 10 ટકા અનામતની મોદી સરકારની જાહેરાત સફળ થતી જણાઇ રહી છે. EBC બિલને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઇ છે. સંસદના બન્ને ગૃહોએ બિલને પાસ કર્યા બાદ રાષ્ટ્રપતિએ મંજૂરી આપતા સવર્ણોને 10 ટકા અનામતને મંજૂરી મળી ગઇ છે. મળતી માહિતી અનુસાર એક સપ્તાહમાં 10 ટકા અનામતનો લાભ મળવાની શરૂઆત થઇ જશે.
મોદી કેબિનેટની મંજૂરી
આગામી સમયમાં લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે મોદી સરકારે સૌથી મોટો નિર્ણય લીધો હતો અને સવર્ણોને અનામત મંજૂર કરી હતી. કેન્દ્રીય કેબિનેટે નિર્ણય લેતા સવર્ણોને આર્થિક ધોરણે 10 ટકાની અનામત મંજૂર કરી હતી.
લોકસભાની મંજૂરી
ત્યારબાદ સામાન્ય વર્ગને આર્થિક રીતે નબળા લોકોને શિક્ષા અને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત આપવમાં સંવિધાન 124માં સંશોધન બિલને મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન બિલના સમર્થનમાં વધુ મતદાન થતા બિલ પાસ થયું હતું.
રાજ્યસભાની મંજૂરી
સંસદના શિયાળુસત્રનો 18માં દિવસે રાજ્યસભાની જ બેઠક થઈ હતી. રાજ્યસભામાં સામાન્ય વર્ગને 10 ટકા અનામત આપવાના મામલે 124મું બંધારણ સંશોધન બિલ રજૂ કરાયું હતું. જેના પાસ થવા પર સૌ કોઈની નજર હતી. લગભગ 8 કલાક જેટલી લાંબી ચર્ચા બાદ રાજ્યસભામાં પણ આ સંશોધન બિલ પાસ થયું હતું.
બિલનો વિરોધ પણ થયો હતો
સંસદમાં આ બિલને મંજૂરી મળતા જ એક સંગઠન દ્વારા સુપ્રીમમાં આ મામલે અરજી દાખલ કરાઈ છે. યુથ ફોર ઇક્વેલિટી નામના સંગઠને આ બિલને પડકારતી અરજી દાખલ કરી છે અને 10 ટકા અનામત આપવાનો વિરોધ દર્શાવ્યો છે. સામાન્ય ક્વૉટાની આ અરજીને પડકારતા કહેવાયું છે કે આર્થિક માપદંડ અનામત ન હોઈ શકે અને આ સુવિધાના વિરોધમાં કરાયું હોવાની વાત પણ કરાઈ છે. વધુમાં અરજીમાં કહેવાયું છે કે પરિવારની વાર્ષિક આવક 8 લાખ રખાઈ છે તેના પર પણ સવાલ ઉઠાવાયા છે.