આગામી 25 તારીખથી ભારતભરના તમામ લોકસભા અને રાજ્યસભાના સ્પીકરની સાથે સાથે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ગુજરાત આવવાના છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને અન્ય સ્પીકર સાથે બેસી અને ચર્ચા વિચારણા થવાની છે, તે કેવડિયા ખાતે આવેલ ટેન્ટસિટી 2 ખાતે 80મી રાજ્યવિધાનસભાના અધ્યક્ષોની પરિષદ યોજાવાની છે. ત્યારે આ સ્થળે ગુજરાતના વિધાનસભાના અઘ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ મુલાકાત લઇ સમીક્ષા બેઠક યોજી હતી.
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ગુજરાત આવશે
લોકસભા અને રાજ્યસભાના સ્પીકર પણ કેવડિયા આવશે
80મી રાજ્યવિધાનસભાના અધ્યક્ષોની પરિષદ યોજાશે
છેલ્લા 100 વર્ષમાં પ્રથમ વખત આવો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. આ દેશના ઇતિહાસમાં પહેલીવાર સ્પીકરની અખિલ ભારતીય બેઠક હોય એવી પહેલી ઘટના બની રહી છે તે ગુજરાતમાં બની રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી એક અતિ વિશિષ્ઠ સ્થળ છે. દેશની એકતાના ઘડવૈયા સરદાર સાહેબનું આ સ્મારક છે. પ્રતિમાની 182 મીટરની ઊંચાઈ રાજ્યની વિધાનસભાના 182 સદસ્યોની સૂચક છે અને ગુજરાતના સાડા છ કરોડ પ્રજાજનોની લાગણી તેની સાથે જોડાયેલી છે. આ માહિતી આપતાં રાજેન્દ્ર ત્રિવેદીએ આ અતિ વિશિષ્ઠ સ્થળની આ પરિષદ માટે પસંદગી કરવા બદલ લોકસભાના અધ્યક્ષને સાભાર ધન્યવાદ આપ્યા હતા.
26 નવેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્પીકર કોન્ફરન્સ
25 અને 26 નવેમ્બરના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતની મુલાકાત લેવાના છે. રાજ્યમાં યોજાનાર સ્પીકર કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા માટે રાષ્ટ્રપતિ ગુજરાત આવશે છે. આ કોન્ફરન્સમાં દેશના તમામ વિધાનસભા સ્પીકર હાજર રહેશે. 26 નવેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્પીકર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કોન્ફરન્સ લોકસભા સ્પિકરના અધ્યક્ષ સ્થાને યોજાઈ રહી છે અને તેમાં દેશની તમામ વિધાનસભાના અધ્યક્ષો હાજરી આપશે.
કાર્યક્રમના સમાપનમાં PM મોદી સમાપન સ્પીચ કરશે
આ કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણ એ પણ હશે કે કાર્યક્રમના સમાપનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમાપન સ્પીચ વર્ચ્યુઅલી કરશે. આમ એક સાથે બધા વડા ભેગા થાય એ પ્રથમ અને ઐતિહાસિક ઘટના બની રહેશે. અન્ય આકર્ષણની વાત એ છે કે, આ કાર્યક્રમમાં સરદાર પ્રતિમાના સાનિધ્યમાં બંધારણના આમુખની સાક્ષી હેઠળ રાષ્ટ્રીય એકતાના શપથ ગ્રહણ કાર્યક્રમ થશે. જેમાં આ પરિષદને અવિસ્મરણીય અને યાદગાર બનાવશે. લોકસભા અને રાજ્યસભાના નેતા પ્રતિપક્ષને પણ આમંત્રિત કરાયા છે. આ પરિષદના આયોજનમાં રાજ્ય સરકારે સંપૂર્ણ પીઠબળ આપ્યું છે.