જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ-૩૭૦ની મોટાભાગની જોગવાઈને હટાવવાના પ્રસ્તાવ સંબંધી સંકલ્પ અને જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વિભાજિત કરવાના વિધેયકને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગત મોડી રાતે મંજૂરી આપી દીધી છે. હવે આ બિલને કાયદાકીય રીતે લાગુ પાડી શકાશે.
આ અગાઉ સંસદે પણ આ વિધેયક પર પોતાની મહોર લગાવી હતી. ગૃહપ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીર આરક્ષણ દ્વિતીય સંશોધન વિધેયક-૨૦૧૯ને પરત લેવાની મંજૂરી માગી હતી. સદને આ માટે મંજૂરી આપી દીધી હતી. શાહે જણાવ્યું હતું કે, કલમ-૩૭૦ની મોટાભાગની જોગવાઈઓને ખતમ કરવાના પ્રસ્તાવ સંબંધી સંકલ્પને મંજૂરી મળી ગયા બાદ હવે આ વિધેયકની જરૂર નથી.
રાજ્યસભાએ આ સંકલ્પને સોમવારે પસાર કર્યો હતો. મંગળવારે લોકસભાએ પણ તેને મંજૂરી આપી હતી. લોકસભામાં કલમ-૩૭૦ હટાવવાના પ્રસ્તાવ અંગેના સંકલ્પપત્રને ૭૨ વિરુદ્ધ ૩૫૧ મતથી સ્વીકૃતિ મળી હતી. એક સબ્યએ મતદાનમાં ભાગ લીધો ન હતો.
બીજી તરફ લોકસભામાં જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન વિધેયક, ૨૦૧૯ને ૭૦ વિરુદ્ધ ૩૭૦ મતથી પસાર કરવામાં આવ્યું હતું. ગૃહપ્રધાન અમિત શાહ તરફથી રજૂ કરવામાં આવેલા સંકલ્પપત્રમાં જણાવાયું છે કે, ભારતના બંધારણના આર્ટિકલ ૩૭૦ના ખંડ-૧ની સાથે આર્ટિકલ ૩૭૦ના ખંડ-૩ દ્વારા મળેલી શક્તિઓનો ઉપયોગ કરીને રાષ્ટ્રપતિ સંસદની ભલામણ પર એ જાહેરાત કરે છે કે, જે દિવસે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા આ જાહેરાત પર હસ્તાક્ષર કરવામાં આવશે અને તેને સરકારી ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવસે, એ દિવસથી ઉપરોક્ત આર્ટિકલના તમામ ખંડ લાગુ નહીં રહે. સિવાય કે ફક્ત ખંડ-૧.
લોકસભામાં ચર્ચાનો જવાબ આપતા ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે, બંધારણના આર્ટિકલ ૩૭૦ને ભારત તથા જમ્મુ-કાશ્મીરને જોડવામાં રૂકાવટ સમાન હતો. સરકાર આ ઐતિહાસિક ભૂલ સુધારવા જઈ રહી છે.
ગૃહપ્રધાને સદનને આશ્વાસન આપ્યું હતું કે, સ્થિતિ સામાન્ય થતા જ જમ્મુ-કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો બહાલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિના આદેશ બાદ ભારતના બંધારણની જોગવાઈઓ સમગ્ર જમ્મુ-કાશ્મીર પર લાગુ પડશે.