અરવલ્લીના ખંભીસર ગામમાં વરઘોડા મામલે થયેલા વિવાદ બાદ આજે આખરે વાજતે ગાજતે બેન્ડવાજા સાથે વરઘોડો નીકળ્યો હતો અને બાદમાં 500 મીટર દૂર ઉભેલી બસ સુધી વરઘોડો પહોંચ્યો હતો. વરઘોડામાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત હતો. તો ડ્રોન દ્વારા પર વરઘોડા પર નજર રાખવામાં આવી રહી હતી
ખંભીસરમાં રવિવારે થયેલી ધમાલ બાદ હવે ગામમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ ઉદ્દભવી છે. રવિવારની ધમાલ બાદ મધ્યરાત્રિથી એસઆરપીની એક ટૂકડી ગામમાં ઉતારી દેવામાં આવી છે. ત્યારે આજે ફરીથી સાબરકાંઠાના માળી ગામે વરરાજાની જાન ગઇ છે.
તો ખંભીસર ગામમાં દલિત પર થયેલા હુમલામાં ઘાયલ થયેલા એક યુવકને સારવાર અર્થે અમદાવાદ લાવવામાં આવ્યો છે. યુવકને હાથના ભાગે ફ્રેક્ચર થયું છે. ત્યારે અમદાવાદ સિવિલમાં તેની સારવાર ચાલી રહી છે. ઈજાગ્રસ્ત યુવકે ન્યાયની માગ સાથે અન્નજળનો ત્યાગ કર્યો છે.
તમને જણાવી દઇએ કે, દલિતોના વરઘોડાના વિવાદ મામલે રેન્જ આઈ.જી. મયંકસિંહ ચાવડા ખંભીસર ગામમાં પહોંચ્યા હતા અને સમગ્ર મામલે પરિવારજનો સાથે મુલાકાત કરી હતી અને પરિવારજનોને સુરક્ષાની ખાતરી આપી.
રાજ્યમાં અનુસૂચિત જાતિનાં લગ્નનાં વરઘોડામાં ભેદભાવની કિસ્સાઓમાં જાણે વધારો થતો હોય તેવા બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે મોડાસા તાલુકાના ખંભીસર ગામે અનુસૂચિત જાતિના યુવકના લગ્નનો વરઘોડો કાઢવા મામલે રવિવારે ધમાલ મચી હતી. સાંજે પથ્થરમારો થતાં 10થી વધુ લોકોને ઈજા થઈ હતી. અરવલ્લી સહિત અન્ય પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા. તંગદીલીભર્યા માહોલમાં જિલ્લાભરનો પોલીસ કાફલો ખડકી દેવાયો હતો.