નવી દિલ્હીઃ ભાજપને આગામી ચૂંટણીમાં પરાજય આપવા માટે કોંગ્રેસ ભાજપ સામે પોતાની સામાજિક અને આર્થિક નીતિ બનાવવા લાગી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નજીકના ગણાતા પૂર્વ મંત્રી મિલિન્દ દેવરાએ પાર્ટીની રણનીતિને લઈને ખુલાસા કર્યા છે. 2019માં ભાજપને કાઉન્ટર કરવાની તૈયારી કરી છે. કોંગ્રેસ એ રીતે ગઠબંધન કરશે કે જેને લઈને ચૂંટણીમાં તેની જોરદાર અસર દેખાય અને ભાજપને પરાજય આપવામાં સફળતા મળે.
શું છે સમગ્ર મામલો?
કોંગ્રેસ 2019ની લોકસભાની ચૂંટણીને લઈને રણનીતિ બનાવી રહ્યા છે. ખાસ કરીને રાહુલ ગાંધી અને તેમની યુવા ટીમ જોરદાર મહેનત કરી રહી છે. આ મામલે મિલિન્દ દેવરાને ખાસ જવાબદારી અપાઈ છે. તેમને કહ્યું કે પ્રજા વચ્ચે કોંગ્રેસના કાર્યકરોએ જવું પડશે અને પૂછવુ પડશે કે તે ભાજપના શાસનથી ખુશ છે કે નારાજ છે.
અને જો નારાજ હોય તો કોંગ્રેસ તેમને શું આપશે કે તેઓ કોંગ્રેસને મત આપે તે કોંગ્રેસે પ્રજાને સમજાવવું પડશે. ભાજપને અટકાવવા માટે કોંગ્રેસે પણ પોતાની નવી રણનીતિ લઈને પ્રજા વચ્ચે જવું પડશે. પ્રજાને મોદીની નીતિઓ સામે કોંગ્રેસની નીતિ સારી લાગશે તો તેમને વિશ્વાસ છે કે ભાજપે 2019માં વિરોધ પક્ષમાં બેસવાનો વારો આવશે.
દક્ષિણ મુંબઈ લોકસભા સીટના સાંસદ રહેલા દેવરાએ જણાવ્યું કે સમાજિક રીતે અમારું નીતિ ચોખ્ખી છે. આ ઉપરાંત આર્થિક નીતિને લઈને અમે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરીને પ્રજાને આર્થિક નીતિ અંગે સમજાવવામાં આવશે કે કોંગ્રેસનો આગામી એજન્ડા આ છે. કોંગ્રેસને 2014ની લોકસભા ચૂંટણીમાં 543 લોકસભા સીટમાંથી માત્ર 44 સીટ મળ હતી. અને કોંગ્રેસ પાસે વિપક્ષને જોઈતી સીટો મળી ન હતી.
આ સિવાય દેવારએ ગઠબંધન પર કોંગ્રેસને સલાહ આપતા કહ્યું કે એક પાર્ટીની દૃષ્ટિએ ગઠબંધન લાંબા ગાળાનું વિચારવું જોઈએ. માત્ર ચૂંટણીમાં વિજય મેળવવા અને ભાજપને હરાવવા ગઠબંધન કરવું યોગ્ય નથી. પાર્ટીએ પોતાની શાખ અનુસાર ગઠબંધન કરીને આગળ વધવું જોઈએ. સહયોગી પાર્ટીઓ સત્તા લાલચી ન હોઈ માત્ર રણનીતિઓ પર કામ કરનારી હોવી જોઈએ જેથી સરકાર સરળતાથી ચાલી શકે.