IAS કે. રાજેશ વિરૂદ્ધ તપાસનો ધમધમાટ ધીરે-ધીરે આગળ વધી રહ્યો છે ત્યારે હવે જમીન કૌભાંડની તપાસ માટે EDના અધિકારીઓ જોડાઈ શકે છે.
IAS કે. રાજેશ વિરૂદ્ધ CBI તપાસનો ધમધમાટ
જમીન કૌભાંડની તપાસ માટે જોડાઈ શકે છે EDના અધિકારીઓ
કલેક્ટર અને કચેરીના સ્ટાફે કેટલો ભ્રષ્ટાચાર આચર્યો તેનું લિસ્ટ તૈયાર
IAS કે. રાજેશ વિરૂદ્ધ CBI તપાસનો ધમધમાટ ધીરે-ધીરે વધતા કે.રાજેશની મુશ્કેલી દિવસે ને દિવસે સતત વધતી જાય છે. ત્યારે હવે EDના અધિકારીઓ જમીન કૌભાંડની તપાસ માટે જોડાઈ શકે છે. EDના અધિકારીઓ CBI સાથે કેસને લઇને સતત સંપર્કમાં છે. EDના અધિકારીઓ સુરેન્દ્રનગર અને ગાંધીનગર તપાસ અર્થે પહોંચી શકે છે. લાયસન્સ મામલે કલેક્ટર કચેરીના અધિકારીઓની સંડોવણી પણ સામે આવી છે. ડિજિટલ ડેટાના એનાલિસિસમાં અનેક માહિતીઓ સામે આવી છે. જે બેંકથી નાણાંની હેરફેર થઇ તેના રેકર્ડ પણ જપ્ત કરાયા છે. રફીક મેમણના ખાતાની તપાસમાં CBIને મોટી રકમની હેરફેર અંગેની માહિતી મળી છે. હાલમાં કલેક્ટર અને કચેરીના સ્ટાફે કેટલો ભ્રષ્ટાચાર આચર્યો તેનું લિસ્ટ તૈયાર કરાઇ રહ્યું છે.
કામ કરી આપવાની બદલામાં સુરતમાં 2 કરોડની દુકાનોના સોદા પાડ્યા
વધુમાં તમને જણાવી દઇએ કે, IAS અધિકારી કે.રાજેશ સામે CBI તપાસનો મામલે નવો ખુલાસો થયો છે. અધિકારી કે.રાજેશની શહેરના નવા વિકસી રહેલા વિસ્તારમાં 2 મિલકત સામે આવી છે. શહેરના ઉત્રાણ સ્થિત સિલ્વર બિઝનેસ પોઈન્ટમાં કે.રાજેશની 2 દુકાનો આવેલી છે. જે બજાર ભાવની કિંમત કરતાં સસ્તા ભાવે ખરીદવામાં આવી છે. અત્યારે આ બન્ને દુકાનો બેંક ઓફ બરોડાના ભાડા કરાર પર છે. અહીં કે.રાજેશ વતી રફીક મેમણ રૂપિયાની હેરાફેરી કરતો હતો. જેના રૂપિયા કાપડની દુકાનના એકાઉન્ટમાં IASના નામે આવતા હતા. ઉલ્લેખની છે કે, કે. રાજેશ સુરતમાં DDO તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.
આ સાથે IAS અધિકારી કે.રાજેશની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. અધિકારીને રાજકોટથી ટ્રાન્સફર થયેલા રૂપિયા CBIના રડારમાં હોવાના સંકેત સામે આવ્યા છે. જેથી IAS ઓફિસરને રૂપિયા 60 કરોડ કોણે ટ્રાન્સફર કર્યા તે તપાસનો વિષય છે. આ તપાસમાં રાજકોટના મોટા માથાનું કનેક્શન ખુલી શકે છે. જેને કારણે CBI રૂપિયાના ટ્રાન્સફરની તપાસ માટે રાજકોટ આવી શકે છે. ઉલ્લેખનીય છે કે, કે.રાજેશ મોરબી DDO હતા ત્યારથી જ રાજકોટના આગેવાનો અને ધંધાર્થીઓના સંપર્કમાં હતા.
તદુપરાંત સુત્રો પાસેથી જાણવા મળતી વિગત અનુસાર IAS અધિકારી કે.રાજેશે અનધિકૃત 100 આર્મ્સ લાયસન્સ ઈસ્યુ કર્યાનો પણ ખુલાસો થયો છે. CBIની તપાસમાં આ નવો ખુલાસો સામે આવ્યો છે. અધિકારી સુરેન્દ્રનગરના કલેક્ટર હતા, ત્યારે પોલીસની NOC ન હોવા છતાં લાયસન્સ ઈસ્યૂ કર્યાં હતા. આ કેસમાં કે. રાજેશ પર ભ્રષ્ટાચારનો આરોપ પણ લાગેલો છે. જેથી CBI દરેક લાયસન્સનો તોડ મેળવી રહી છે.
કે.રાજેશના બેંક લોકરમાંથી CBIને આઠ દસ્તાવેજો મળી આવ્યા
આ ઉપરાંત સુરતની મિલકત અંગે પણ નવો ખુલાસો થયો છે. સુરતમાં કે. રાજેશે 2 દુકાનની અંડર વેલ્યુએશન બતાવી હતી. આ બન્ને દુકાનની કિંમત 2 કરોડ છે. આમ છતાં અધિકારીએ આની કિંમત 48 લાખ બતાવી છે. સાથે જ કે.રાજેશના બેંક લોકરમાંથી CBIને આઠ દસ્તાવેજો મળી આવ્યા છે. જે અન્ય લોકોના નામે છે. આ તબક્કે અન્ય લોકોના દસ્તાવેજો તેમના બેંક લોકરમાં શા માટે મુકાયા તે બાબતે શંકા ઉપજી છે, જેના નિરાકરણ માટે CBIએ આ મામલે તપાસ હાથધરી છે અને જે લોકોના નામે આ જમીન કે મકાનો ખરીદાયાં છે તેમને નોટિસ આપી તેમનાં નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, CBI દ્વારા કે. રાજેશની પૂછપરછ ચાલી રહી છે. આ સમગ્ર પ્રકરણમાં અનેક લોકોને છાંટા ઉડવાની સંભાવના છે.