અયોધ્યામાં 5 ઓગસ્ટે રામ મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાવાનો છે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. જેના પગલે હવે અયોધ્યાને સીલ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. 4 ઓગસ્ટથી જ અયોધ્યામાં પ્રવેશ પ્રતિબંધ મુકી દેવામાં આવશે.
4 ઓગસ્ટથી જ અયોધ્યામાં નહીં મળે પ્રવેશ
જળમાર્ગ પર પણ રાખવામાં આવશે નજર
PM મોદીના આગમનને પગલે અયોધ્યા સીલ કરવાની તૈયારી
અયોધ્યામાં સુરક્ષાને પગલે તમામ માર્ગ તથા સરયુ નદીમાં જળમાર્ગ પર પણ દેખરેખ રાખવામાં આવશે. પ્રધાનમંત્રીના આગમન પહેલા અયોધ્યાને ચારેય તરફથી સીલ કરવાની તૈયારી કરવામાં આવી છે. અયોધ્યા સહિત ફૈઝાબાદ શહેરમાં પ્રવેશના તમામ માર્ગો બંધ કરી દેવામાં આવશે.
અયોધ્યા જિલ્લાના પડોશી શહેર ગોંડા, આંબેડકરનગર, બારાબંકી, સુલતાનપુર, અમેઠીમાં નોડલ અધિકારીઓની નિમણૂક કરાઈ છે. જેમના નેતૃત્વ હેઠળ પોલીસ દેખરેખ રાખશે. સાથે જળ માર્ગે પણ પોલીસ તૈનાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રીના આગમનને પગલે હાઈ-વે સહિત અયોધ્યાના તમામ નાના મોટા પ્રવેશ માર્ગો પર બેરીકેટ લગાવાશે.
ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં પીએમ સહિત 200 વીવીઆઈપી મહેમાનો આવવાના છે. તેમ ગુપ્તચર એજન્સી રો દ્વારા પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. કેમકે રોના જણાવ્યાનુંસાર અયોધ્યામાં આતંકવાદી હુમલો થઈ શકે તેમ છે.