રાજ્ય સરકારે અંબાજી, બહુચરાજી, પાવાગઢ સહિત 9 શક્તિ કેન્દ્ર સહિત અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ વાઈબ્રન્ટ નવરાત્રિનું આયોજન કરવામાં આવશે એવો નિર્ણય લીધો છે. ત્યારે વાઈબ્રન્ટ નવરાત્રીને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારાઓ શરૂ કરી દેવામાં આવી છે.
અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ત્રણ વર્ષ બાદ યોજાશે ગરબા
વાયબ્રન્ટ નવરાત્રીને લઈને હાથ ધરાઈ તૈયારીઓ
GMDC ગ્રાઉન્ડમાં સ્ટેજ અને ડોમ બનાવવાનું શરૂ
દેશમાં અનેક તહેવારો ઉજવવામાં આવે છે અને આ બધા તહેવારો પોતાપોતાની રીતે ઐતિહાસિક મહત્વ ધરાવે છે. એમાંનો એક તહેવાર એટલે નવરાત્રી (Navaratri 2022). ત્યારે નવરાત્રીને લઇને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. એટલે કે, આ વર્ષે રાજ્યમાં અંબાજી, બહુચરાજી, પાવાગઢ અને ચોટીલા સહિત નવ શક્તિપીઠો પર ગરબાનું આયોજન કરાશે. તદુપરાંત અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ ગરબાનું ભવ્ય આયોજન કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા GMDC ગ્રાઉન્ડમાં તૈયારી શરૂ કરવામાં આવી છે. ગ્રાઉન્ડમાં સ્ટેજ અને ડોમ બનાવવાનું શરૂ કરાયું છે.
કોરોના કાળના 2 વર્ષ બાદ હવે આ વર્ષે ફરીથી ધામધૂમથી નવરાત્રી યોજાવા જઇ રહી છે. આ વર્ષે તારીખ 26 સપ્ટેમ્બર (આસો સુદ એકમના રોજ સોમવાર)થી નવરાત્રીનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. જેને લઇને ગરબા રસિકોમાં એક પ્રકારનો થનગનાટ જોવા મળી રહ્યો છે. ઘણા મહિના પહેલાથી જ ગરબા રસિકોએ ગરબાની પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. ત્યારે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં પણ ગરબાનું ભવ્ય આયોજન કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો.
સ્ટેજ અને ડોમ બનાવવાનું શરૂ કરાયું
વાયબ્રન્ટ નવરાત્રીને લઈને તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. વાઈબ્રન્ટ નવરાત્રીમાં તમામને એન્ટ્રી ફ્રી આપવામાં આવશે. 26 સપ્ટેમ્બરથી અમદાવાદીઓ GMDC ગ્રાઉન્ડમાં ગરબે ઘૂમશે. આ માટે વહીવટી તંત્રએ અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. GMDC ગ્રાઉન્ડમાં સ્ટેજ અને ડોમ બનાવવાનું શરૂ કરાયું છે.
5 ઓક્ટોબર સુધી ઉજવાશે નવરાત્રી
મહત્વનું છે કે, નવરાત્રી તહેવાર દેવી દુર્ગામાને સમર્પિત છે. જેમાં માતા દુર્ગાના 9 સ્વરૂપોની 9 દિવસ સુધી પૂજા કરવામાં આવે છે અને દસમા દિવસે દશેરા ઉજવવામાં આવે છે. ત્યારે તમને જણાવી દઇએ કે, આ વખતે નવરાત્રીનો મહાપર્વ આગામી 26 સપ્ટેમ્બરના રોજ સોમવારથી શરૂ થશે અને 5 ઓક્ટોબરના રોજ બુધવાર સુધી ઉજવાશે.
જાણો નવરાત્રીનું શું છે મહત્વ
આસો માસના શુક્લ પક્ષની પહેલી તિથિથી મનાવાતો નવરાત્રીનો તહેવાર સનાતન યુગથી જ મનાવવામાં આવી રહ્યો છે. એવી માન્યતા છે કે સૌથી પહેલા ભગવાન રામે નવરાત્રીની શરૂઆત કરી હતી. સમુદ્ર કિનારે શક્તિની ઉપાસના કર્યા બાદ જ ભગવાન રામે લંકા પર આક્રમણ કર્યું હતું. બાદમાં તેમણે રાવણનો વધ કરી જીત પણ મેળવી. એટલા માટે નવરાત્રીના નવ દિવસ સુધી માં અંબેની પૂજા કર્યા બાદ દસમા દિવસે દશેરાનો પર્વ મનાવવામાં આવે છે. આને અધર્મ પર ધર્મનો અને અસત્ય પર સત્યના વિજય તરીકે પણ મનાવવામાં આવે છે.