મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળમાં મંત્રીમંડળમાં મોટા ફેરફારની તૈયારીમાં છે. મંત્રીમંડળમાં ફેરફાર માટે PMO દ્વારા તમામ મંત્રાલયોની પૂર્ણ સમીક્ષા કરવાનો નિર્ણય લેવાયો છે. કેબિનેટ અને સ્વતંત્ર હવાલો ધરાવતા રાજ્યમંત્રી 6થી 8 જાન્યુઆરી સુધી સતત ત્રણ દિવસ પોતાના મંત્રાલયોના રિપોર્ટકાર્ડ રજૂ કરશે. મંત્રાલયોના સચિવોને નક્કી વિષયો પર આંકડાની સાથે પ્રેઝન્ટેશન બનાવવા માટે કહેવાયું છે.
મોદી કેબિનેટ-2માં મોટા વિસ્તરણની તૈયારી
PMOમાં ત્રણ દિવસ સુધી મેરેથોન સમીક્ષા બેઠક
દિલ્લી અને બિહારની ચૂંટણીને લઇ મંત્રીમંડળમાં ફેરફાર થઇ શકે છે
15 દિવસમાં બીજી વખત મંત્રીઓના કાર્યની સમીક્ષા
નરેન્દ્રસિંહ તોમર, નીતિન ગડકરી, રવિશંકર પ્રસાદ અને અન્ય મંત્રીઓને વધારાનો હવાલો સોંપવામાં આવે તેવી શક્યતા છે. મંત્રીઓના કાર્યની સમીક્ષા 15 દિવસમાં આ બીજી વખત કરવામાં આવી રહી છે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 21 ડિસેમ્બરે 6-6 મંત્રીઓના ગ્રુપમાં સમીક્ષા કરી હતી.
મુખ્ય મંત્રાલયોમાં ફેરફાર માટે આ સમય યોગ્ય
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મુખ્ય પાંચ મંત્રાલયોમાં કોઈ ફેરફાર કરવો હશે તો 10-20 જાન્યુઆરીનો સમય યોગ્ય છે. આ પછી નાણાં મંત્રાલય સહિત અન્ય મંત્રાલયોમાં કોઈ બદલાવ કરી શકાશે નહીં. મંત્રીઓના કામની સમીક્ષા પહેલાં શુક્રવારે મંત્રીપરિષદની બેઠક થઈ હતી. આજે 10 વાગે આ બેઠક થનારી છે.
આ મંત્રીઓ પર છે બમણો કાર્યભાર
નીતિન ગડકરી - સડક પરિવહન અને રાષ્ટ્રિય રાજમાર્ગ સિવાય MSME પણ છે.
નરેન્દ્ર તોમર - કૃષિ મંત્રાલયની સાથે ગ્રામીણ વિકાસ જેવું મોટું મંત્રાલય ચલાવી રહ્યા છે.
રવિશંકર પ્રસાદ - કાયદા, ઈલેકટ્રોનિક્સ, આઈટી સિવાય સંચાર મંત્રાલય ચલાવી રહ્યા છે.
સ્મૃતિ ઈરાની - કપડા મંત્રાલયની સાથે મહિલા અને બાળ વિકાસ પણ જોઈ રહ્યા છે.
ડૉ. હર્ષવર્ધન - સ્વાસ્થ્ય સિવાય સાયન્સ અને ટેક્નોલોજી પણ છે.
પ્રકાશ જાવડેકર - પર્યાવરણ, સૂચના પ્રસારણની સાથે ઉદ્યોગ મંત્રાલય પણ છે.
બિહારની ચૂંટણી પર છે નજર, જદયૂને મળી શકે છે 3 પદ
વર્ષના અંતમાં બિહારમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. JDU કેન્દ્રમાં માત્ર એક મંત્રીપદ લેવાનો ઈન્કાર કર્યો હોવાથી વધુ એક નેતાને મંત્રી પદ આપવામાં આવે તેવી શક્યતા છે.જદયૂની સાથે સત્તારૂઢ ભાજપ નીતિશ કુમારને મુખ્યમંત્રી પદ માટે જાહેર કરી ચૂકી છે. માનવામાં આવી રહ્યું છે કે જદયૂને એક કેબિનેટ અને બે રાજ્યમંત્રી પદ આપવામાં આવી શકે છે. રાજ્યસભાના ઉપસભાપતિ જદયૂના ડૉ. હરિવંશનો કાર્યકાળ એપ્રિલમાં પૂર્ણ થઈ રહ્યો છે. તેમને આ પદ પર કાયમ રાખવા માટે પણ સહમતિ બની ચૂકી છે. આ સિવાય લોકસભાના ઉપાધ્યક્ષના પદે વાઈએસઆર કોંગ્રેસને આપી શકાય છે. આ સિવાય શિવસેના દ્વારા ખાલી કરાયેલું કેબિનેટ મંત્રીનું એક પદ અન્નાદ્રમુકના ખાતામાં જઈ શકે છે.