ઓમિક્રોન વાયરસ સામે રાજ્યનું આરોગ્ય તંત્ર સતર્ક. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક અલાયદો ઓમિક્રોન વોર્ડ તૈયાર.વધુ કેસ સામે આવે તો દર્દીઓને આ અલાયદા વોર્ડમાં સારવારની તૈયારી
ઓમિક્રોન સંક્રમણ સામે અમદાવાદ તૈયાર
સિવિલ હોસ્પિટલમાં બનાવ્યો અલગ વોર્ડ
દર્દી બહલે ના હોય, તૈયારી પૂરતી રાખી છે
સમગ્ર વિશ્વમાં કોરોનાનો ઓમિક્રોન વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે અને જામનગરથી પણ ઓમિક્રોનની ગુજરાતમાં એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે રાજ્યનું આરોગ્ય તંત્ર સતર્ક થઈ ગયું છે. એશિયાની નંબર વન ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક અલાયદો ઓમિક્રોન વોર્ડ તૈયાર કરાયો છે. ઓમિક્રોનના વધુ કેસ સામે આવે તો દર્દીઓને આ અલાયદા વોર્ડમાં રાખવાની અને સારવાર આપવાની તૈયારી અમદાવાદ સિવિલમાં કરવામાં આવી છે.
રાજ્યમાં મળી આવેલા ઓમીક્રોન વાયરસ મામલે અમદાવાદમાં આરોગ્ય તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલમાં ઓમીક્રોન વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. બહારગામથી આવેલા શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લીધા બાદ ઓમીક્રોન વોર્ડમાં આઇસોલેટ રખાશે. હાલ 25 પથારીઓ ઓમીક્રોન વોર્ડમાં ઉભી કરવામાં આવી છે. વોર્ડમાં વેન્ટિલેટર,ઓક્સિજન સહિતની તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.ગુજરાતમાં ઓમીક્રોનનું સંક્રમણ વધ્યું તો કોઈ પણ સ્થિતિ પહોંચી વળવા પ્રશાસન એલર્ટ મોડ પર છે. ઓમીક્રોનની દહેશત વચ્ચે રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ સિવિલ હોસ્પિટલમાં સરપ્રાઇઝ વિઝીટ કરી હોસ્પિટલમાં વ્યવસ્થાની ચકાસણી કરી.
આ અંગે સિવિલ હોસ્પિટલના સુપ્રિ, ડો. રાકેશ જોષી જણાવે છે કે હાલ કોરોનાનું એક દર્દી સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે. જોકે ઓમીક્રોનનું એક પણ દર્દી સિવિલમાં દાખલ નથી. પણ હોસ્પિટલમાં તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. અન્ય દેશમાંથી આવનાર દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી જાણી જે તે દર્દીને રિપોર્ટ તપાસવામાં આવશે. રિપોર્ટ પોઝિટિવ આવે તો અલગ વોર્ડ રાખવામાં આવ્યો છે ત્યાં સારવાર કરવામાં આવશે. જો કોઈ શંકાસ્પદ કેસ હોય તો તે માટે અલગ વ્યવસ્થા કરી છે.