આયુર્વેદમાં શાકભાજીઓ અને ફળોના રસનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. કાચાં શાકભાજી અને ફળોનો રસ રોગોને દૂર કરવાનો અક્સિર ઉપાય છે કારણ કે શાકભાજી અને ફળોનો રસ પીવાથી લોહી ચોખ્ખું થાય છે. આ રસ શરીરના દરેક અંગોના કોષોમાં ભરાયેલા દૂષિત પદાર્થોને દૂર કરે છે. સાથે જ વ્યક્તિ કિડની, હૃદયના રોગો, ડાયાબિટીસ, બ્લડપ્રેશર, કેન્સર, કોલેસ્ટ્રોલ જેવા રોગોથી આજીવન બચીને રહે છે. તો ચાલો જાણીએ ફળ અને શાકભાજીના રસ લેતા પહેલાં શું ધ્યાન રાખવું અને શું છે તેના ફાયદા.
ફળ અને શાકભાજીના રસ લેતા પહેલાં શું ધ્યાન રાખવું
ફળ હોય કે શાકભાજી તેનો ઉપયોગ કરતાં પહેલાં સાધારણ ગરમ પાણીમાં 10થી 20 મિનિટ પલાળી રાખવા જોઇએ, જેથી તેની ઉપર લાગેલો કચરો, માટી અને જંતુનાશક દ્રવ્યો દૂર થઇ જાય.
ફળ હોય કે શાકભાજી તાજા વાપરવા જોઇએ. વધારે પાકી ગયેલાં, ગંધ મારતાં અને કાળા પડી ગયેલાં ફળો ના ખાવા જોઈએ. આ જ રીતે શાકભાજી પણ દેખાવમાં વાસી લાગે તે વાપરવા નહીં.
રસ કાઢવાનું મશીન બરાબર ધોઇને વાપરવું જોઇએ. જ્યાં શક્ય હોય ત્યાં રસ ગાળ્યા વગર પીવો જોઇએ.
ફળોનો કે શાકભાજીનો રસ તાજો જ પીવો જોઇએ. ડીપ ફ્રિઝમાં રાખેલો રસ અથવા કાઢ્યા પછી ખુલ્લા વાસણમાં ચાર પાંચ કલાક પડ્યો રહ્યો હોય તેવો રસ પીવો ન જોઇએ.
બજારમાં મળતાં જ્યૂસ અને રસમાં પ્રિઝર્વેટિવ્સ અને કેમિકલ્સ હોય છે જેથી આવા જ્યૂસ અને રસનું સેવન કરવું નહીં,
ફળો અને શાકભાજીનો રસ પીવાની રીત
જો તમે તમારો રોગ દૂર કરવા અથવા તંદુરસ્ત રહેવા માટે ફળનો કે શાકભાજીનો રસ પીતા હો તો તેમાં ખાંડ, મરી કે મીઠું તેને સ્વાદિષ્ટ બનાવવા કદાપિ નાખશો નહીં. કારણ એવું કરવાથી જાણે અજાણે તમારા શરીરમાં બિનજરૂરી ખાંડ અને મીઠું જશે એ જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તમને શાકભાજીનો રસ સ્વાદમાં સારો ન લાગતો હોય તો લીંબુ નિચોવી સ્વાદિષ્ટ બનાવી શકો છો.
જો તમે આદુ, ડુંગળી, લીલી હળદરનો રસ રોગ મટાડવા માટે પીવા માગતા હો તો તેનું પ્રમાણ ફક્ત 20થી 25 મિલી રાખવું જોઈએ. જો લસણનો રસ લેવાના હો તો એક ચમચીથી વધારે લેશો નહીં.
કઈ સમસ્યામાં કયો રસ પી શકાય
સફરજનનો રસ એસીડીટી, અપચો, કિડનીના રોગોમાં રાહત આપે છે.
કારેલાનો રસ પીવાથી ભૂખ લાગે છે, ઉધરસ મટાડે છે. કરમીયા દૂર કરે છે. કોઢ મટાડે છે, કિડની સ્ટોન દૂર કરે છે.
કોબીજનો રસ પીવાથી એસીડીટી દૂર થાય છે, ઉધરસ મટે છે, હોજરી અને આંતરડાનાં ચાંદાં દૂર થાય છે.
ગાજરનો રસ પીવાથી આંખની જોવાની શક્તિ અકબંધ રહે છે. શરીરમાં રહેલો યુરીક એસિડ કાઢી નાખે છે
આદુનો રસ પીવાથી ગેસ ઓછો થાય છે, ઉધરસ મટે છે, હૃદયરોગ થતો અટકાવે છે, ગળા અને નાક (સાઈનસ)માં ભરાએલા કફને દૂર કરે છે. માથુ દૂખતું હોય ત્યારે નાકમાં આદુનો રસ બે ટીપાં નાખવાથી મટી જાય છે.
લીંબુનો રસ આંતરડામાં બેકટેરિયાનો નાશ કરે છે. બધા જ પ્રકારના ચેપથી રક્ષણ થાય છે. ઠંડા પાણીમાં લીંબુનો રસ મેળવી તેમાં મધ નાખી રોજ ભૂખ્યા પેટે પીવાથી કબજિયાત મટે છે.