રમતગમત ક્ષેત્રે યુવાનોમાં રહેલી પ્રતિભાને એક મંચ પ્રાપ્ત થાય, યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો તથા દિવ્યાંગ રમતવીરો વિવિધ રમતોમાં ભાગ લઇ રમતગમત થકી આંતરિક અને શારીરિક વિકાસ થાય એ માટે ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આગામી ખેલ મહાકુંભ-2019નો શુભારંભ 8 સપ્ટેમ્બરના રોજ અમદાવાદની બોપલ ખાતે સંસ્કારધામ સ્પોર્ટ્સ ઍકેડમી ખાતે થનાર છે.
ઉલ્લેખનીય છે કે, ખેલ મહાકુંભ-2019ની પૂર્વ સંધ્યાએ એટલે કે આજે 7 સપ્ટેમ્બર, 2019ના રોજ સંસ્કારધામ સ્પોર્ટ્સ ઍકેડમી ખાતે ઇન્ડિયન ચેસ ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદ સાથે વિશેષ 'ચર્ચા'નું આયોજન કરવામાં આવેલ. જેમાં મોટી સંખ્યામાં રમતવીરો તથા નગરજનો હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમમાં ડિજીટલ મીડિયાના સેલેબ્સને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સંચાલન જૂહી બંસલ દ્વારા કરવામાં આવેલ હતું.
સંસ્કારધામ સ્પોર્ટ્સ ઍકેડેમીને ઝલક
ફીટ ઇન્ડિયા મૂવમેન્ટની પણ કરાશે શરૂઆત
આવતી કાલે ખેલ મહાકુંભ-2019ના શુભારંભ પ્રસંગે જાણીતા બોક્સર એમ.સી. મેરીકોમ તથા ચેસ ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદ ખાસ ઉપસ્થિત રહેશે. આ સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, કેન્દ્રીય મંત્રી કિરણ રિજજુના હસ્તે ફીટ ઇન્ડિયા મૂવમેન્ટનો પણ પ્રારંભ કરવામાં આવશે.
રવિવારે સવારે 9.30 કલાકે થશે પ્રારંભ
નોંધનીય છે કે, રવિવારે સવારે 9.30 કલાકે સંસ્કારધામ સ્કૂલના ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં ખેલ મહાકુંભનો શુભારંભ થશે, આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી ઇશ્વરસિંહ પટેલ ખાસ હાજર રહેવાના છે.
ચાલુ વર્ષે કુલ 22 રમતોનો કરાયો સમાવેશ
ખેલમહાકુંભમાં જિલ્લા કક્ષાએ કુલ 22 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લા કક્ષાએ હોકી,આર્ચરી,કુસ્તી ,ચેસ,રસ્સાખેંચ ,કબડ્ડી સહિતની રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જયારે રાજય કક્ષાએ કુલ 36 રમતોમાં ભાગ લઇ શકશે. જેમાં આ વખત રાજય કક્ષાએ કુલ 4 નવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કરાટે,ઘોડેસવારી,રોલબોલ,બ્રીજનો સમાવેશ પ્રથમ વાર કરવામાં આવ્યો છે.