પૂર્વ જન્મના સંચિત કર્માનુસાર આ જન્મમાં જે તે જીવ સુખ-દુઃખ ભોગવે છે. મનુષ્યનો જન્મ થતાં જ આકાશમાં ગ્રહોનો નકશો તેનાં પુણ્ય કર્મ અનુસાર ગોઠવાઈ જતો હોય છે છતાં તેને ભોગવવાં પડતાં દુઃખાદિ મંત્ર, તંત્ર, મણિથી ઓછા કરી શકે છે કે નિયંત્રણમાં રાખી શકે છે. દેવ મનુષ્યના ભાગ્યનું માળખું ઊભું કરે છે, પરંતુ તેમાં રંગ પૂરવાનું કામ પુરુષાર્થનું છે.
જેમ કે દૈવયોગે નિર્માણ થયેલું મૃત્યુ કદાપિ ટાળી શકાતું નથી પરંતુ મહામૃત્યુંજયના જાપ, અનુષ્ઠાન કે હોમ હવનથી તેને અમુક સમય દૂર ધકેલી શકાય છે. ઈશ્વરના સંકેત પ્રમાણે દૈવાનુસાર મનુષ્યને વિપત્તિ-દુઃખ પડે ત્યારે તમે પુરુષાર્થથી તેને કેટલી મદદ કરો છો. તે આવતાં જન્મ માટે પુણ્ય કર્મ બાંધવાની તક ઈશ્વર પૂરી પાડે છે. તદ્નુસાર તમારા પુરુષાર્થથી માળખામાં રંગપૂરણીમાં થોડા ફેરફારને અવકાશ અવશ્ય રહે છે.
શ્રદ્ધા, આસ્થા, વિશ્વાસ વિનાના મંત્ર જાપ વાંગમય સાબિત થાય છે. દરેક મંત્ર પાછળ શ્રદ્ધાનું બળ હોય તો મંત્ર અચૂક સિદ્ધિ આપે છે. મંત્ર જપમાં કદી શંકા કરવી નહીં. મંત્ર જાદુ નથી કે તે કોઈ અલૌકિક અસામાન્ય વસ્તુ નથી. મંત્ર પ્રભુ પ્રત્યેની અંતઃકરણપૂર્વક કરેલી પ્રાર્થના આજીજી છે. તેમાં જાતને આત્મસાત સમર્પિત કરવી પડે છે.મંત્રના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે. વૈદિક મંત્રો (સ્તોત્ર), પૌરાણિક મંત્રો,તાંત્રિક મંત્રો- જે તે વ્યક્તિની સક્ષમતાને આધારે આ પૈકી કોઈ મંત્રો આપી શકાય છે.
મંત્રો વ્યક્તિને મજબૂત ઈચ્છાશક્તિ અને ભીતરની માનસિક શાંતિ આપે છે. મંત્ર વ્યક્તિની બહારની દુનિયાના બનાવોને બદલતા નથી પરંતુ તે મનુષ્યના માનસતંત્ર, ચેતસને આંદોલિત કરી તેના મનને કરે છે તેમજ મનુષ્યના સ્વભાવ, વલણ આધારિત માનસિક પરિવર્તન લાવે છે. આમ મંત્રો આવનાર મુસીબતો સામે પૂર્વ માનસિક તૈયારી પૂરી પાડે છે. ગ્રહોના પારસ્પરિક સંબંધથી પરિણમતી દુઃખદાયક અસરને મંત્રબળ, રત્ન, વિધિ વિધાન, વ્રત, દ્વારા અન્ય દિશામાં વાળવા માટે વધારાનું બળ પેદા કરે છે.
ગ્રહોનાં અનિષ્ટને અટકાવવા દાન શ્રેષ્ઠ માર્ગ છે પરંતુ દાન સુપાત્રને થવું જોઈએ. પ્રાર્થના, હોમ, હવન, યજ્ઞ, તપ પણ ગૃહપીડિત દૂર કરવા માટેના ઉપચાર છે. પ્રાર્થના-આજીજીથી પોતાની જાતને ઈશ્વર સમર્પિત કરીએ છીએ તેથી અહં ઓગળી જાય છે. બધી સમસ્યાઓનું મૂળ અહીં છે.
પૂર્વ જન્મનાં પાપ કર્મ આ જન્મમાં વ્યાધિરૂપે બાધક થાય છે. વ્યાધિનો ઉપાય મંત્ર જાપ, દાન, હોમ, હવન, તર્પણ, માર્જન, ઔષધ અને પ્રભુ પ્રાર્થના છે. જેમાં શ્રદ્ધા રાખવાથી ચોક્કસ
ફાયદો થાય છે. ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે.•