અમદાવાદ: વિશ્વ હિંદુ પરિષદનો પર્યાય એવા પ્રવીણ તોગડિયા હવે પરિષદમાં નથી પરંતુ હિંદુવાદી કાર્યકરોના દિલમાં હજુ પણ સ્થાન ધરાવે છે અને એટલે જ તો ચૂંટણી કરીને તેમને હાંકી કાઢવાની ઘટનાના ગુજરાતમાં સૌપ્રથમ સાબરકાંઠા જિલ્લામાંથી પ્રત્યાઘાતો પડયા છે સાબરકાંઠા જિલ્લાના વીએચપીના નારાજ હોદ્દારોએ ધડાધડ રાજીનામાં આપવાની શરૂઆત કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે તમામ હોદ્દેદારોના રાજીનામાની નકલ RSSના સુપ્રીમોને મોકલી આપવામાં આવી છે. તો બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના VHPના આગેવાનોએ પણ પ્રવીણ તોગડિયાના સમર્થનમાં રાજીનામાં આપી દીધા છે. દસેય પ્રખંડોના પ્રમુખોએ રાજીનામાં આપી દીધા છે. આ સાથે જિલ્લા પ્રમુખ પણ આગામી સમયમાં રાજીનામું આપે તેવી શક્યતા છે.
આપને જણાવી દઇએ તો આ તરફ વિશ્વ હિન્દુ પરિષદમાંથી પ્રવિણ તોગડિયાને દૂર કરાતા અમદાવાદમાં તેમના સમર્થકોમાં નારાજગી જોવા મળી રહી છે. VHPના નારાજ કેટલાક કાર્યકરોએ રાજીનામા આપ્યા છે.
તોગડિયાના રાજીનામાં બાદ 8 જિલ્લાના 62 પ્રખંડના રાજીનામા પડયા છે. અમદાવાદમાં VHP કાર્યાલય પર કાર્યકર્તાઓએ સુત્રોચ્ચાર કર્યો હતો અને તોગડિયાના સમર્થનમાં નારા લગાવ્યા હતા.