અમદાવાદઃ વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ અધ્યક્ષ ડો.પ્રવીણ તોગડિયાએ આખરે પોતાના અનિશ્ચિતકાળના ઉપવાસના અંત લાવ્યા છે. ત્રણ દિવસના ઉપવાસ બાદ સંતોની સમજાવટના પગલે પ્રવીણ તોગડિયાએ સંતોના હાથે પારણા કર્યા હતા. સંતોની સમજાવટના પગલે તેઓએ આ ઉપવાસ તોડ્યા હોવાનું જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત મંગળવારથી તેઓ અનિશ્ચિતકાળના ઉપવાસ પર બેઠા હતા. પરંતુ તેમને હાલ ઉપવાસનું શસ્ત્ર હેઠું મુક્યુ છે. અને તેઓ હવે ભારતભ્રમણ કરવાના છે.
વિશ્વ હિંદુ પરિષદમાંથી પોતાનું રાજીનામુ આપ્યા બાદ નવા સંગઠનની માંગ રામમંદિર ગૌરક્ષકો માટે કાયદો વગેરે જેવી માગ સાથે તેઓ ઉપવાસ પર બેઠાં હતા. ગઈકાલે તેમની તબિયત લથડતા તેમને સંતોએ સમજાવ્યા હતા. તેમને સંતોની વાતને માનીને ઉપવાસ આંદોલન પૂર્ણ કર્યું હતું.
તોગડિયાએ સીધા મોદી અને મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. તોગડિયા હવે હિન્દુઓના હિત માટે ભારત ભ્રમણ કરવાના છે. ભારતના પ્રવાસ દરમ્યાન તેઓ ગૌવંશ કાયદો રામ મંદિર સમાન નાગરિક સંહિતા અને કશ્મીરી હિંદુ અને બાંગ્લાદેશી પ્રવાસીઓને પુનવર્સનના મુદાઓ ઉઠાવશે.
તોગડિયાના આમરણાંત ઉપવાસને શિવસેનાના 20 સભ્યોએ સમર્થન આપ્યું હતું. આ સભ્યો શિષ્ટમંડળ રાજસ્થાન પહોંચ્યું હતું અને આ ઉપવાસના સમર્થનમાં જોડાયા હતા. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ તોગડિયાનું સમર્થન કર્યું હતું. ઉપવાસ દરમિયાન તોગડિયાએ મોદી પર આકરા પ્રહાર કરતા કહ્યુ કે બોર્ડર પર સેનાના જવાનો સુરક્ષિત નથી. ગામમાં ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.
આપણી મહિલાઓ દીકરીઓ ઘરમાં સુરક્ષિત નથી. ત્યારે પ્રધાનમંત્રીજી વિદેશ પ્રવાસમાં વ્યસ્ત છે. તોગડિયા 32 વર્ષ સુધી વિહીપના અધ્યક્ષ હતા. હવે તેમને સંગઠનમાંથી બહારનો રસ્તો બતાવતા તે મોદી સામે મોરચો ખોલીને બેઠા છે. હિંદુઓના નામે તે પણ મત માગવા નીકળશે ત્યારે 2019ની ચૂંટણી ખરેખર રોચક સાબિત થશે.