નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન એટલે કે NRC.તેની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે. ગયા શનિવારે એનઆરસી લિસ્ટ જાહેર કરવામાં આવ્યું. જેમાં 19 લાખ 6 હજાર અને 657 લોકોને યાદીમાંથી બહાર કાઢી દેવામાં આવ્યા હતા. પરંતુ શું તમે જાણો છો કે આ લિસ્ટ તૈયાર કરવા પાછળ કઈ વ્યક્તિનું મગજ કામ કરી રહ્યું હતું. નહીંને.
NRC લિસ્ટ તૈયાર કરવામાં પ્રતીક હઝેલાનો મોટો ફાળો છે. NRCની પાછળ તેમનું મગજ કામ કરી રહ્યું હતું. તેઓ NRCના સ્ટેટ કોઓર્ડિનેટર છે. પહેલાં પ્રતીક હઝેલા ઈલેક્ટ્રોનિક એન્જિનિયર હતા અને ત્યારબાદ તેઓ આઈએએસ બન્યા.
પ્રતીક હઝેલા આસામમાં રાષ્ટ્રિય રજિસ્ટર ઓફ સિટીઝનને અપડેટ કરવા માટે ભારતના સૌથી ચર્ચિત અને મહત્વપૂર્ણ લોકોમાંના એક છે. તેઓએ એનઆરસી પ્રક્રિયાનો આધારભૂત ઢાંચો તૈયાર કર્યો હતો. 50 વર્ષના પ્રતીક આઈઆઈટી દિલ્હીના પૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. તેઓએ ત્યાંથી ઈલેક્ટ્રોનિક્સમાં બીટેકની ડિગ્રી લીધી. પછી તેઓએ પોતાનો રસ્તો બદલ્યો અને આઈએએસનો રસ્તો અપનાવ્યો. પ્રતીક હઝેલા 1995 બેચના આઈએએસ ઓફિસર છે. પિતા એસપી હઝેલા મધ્યપ્રદેશ લોકસેવા આયોગના ઓફિસર હતા. તેઓના નાના ભાઈ અનૂપ હઝેલા ભોપાલના એક પ્રતિષ્ઠિત ડોક્ટર છે. હાલમાં હઝેલા આસામ-મેઘાલય કેડરના ઓફિસર છે. વર્ષ 1992માં આઈઆઈટી દિલ્હીથી ઇલેક્ટ્રોનિક્સમાં ડિગ્રી લીધી. તેની સાથે તેઓ 1995 બેચના આઈએએસ ઓફિસર પણ હતા.
કેવી રીતે તૈયાર કર્યું NRC લિસ્ટ?
પ્રતીકે ગુવાહાટીના જીએસ રોડમાં એક બહુમાળી બિલ્ડિંગના પહેલા માળે પોતાની ઓફિસ શરૂ કરી. તેઓએ IIT દિલ્હીના પૂર્વ વિદ્યાર્થીઓ સાથે મળીને એક ટીમ તૈયાર કરી. ત્યારબાદ એનઆરસી અપડેશનનો ટેકનિકલ કોન્સેપ્ટ તૈયાર કર્યો.
કેવી રીતે જોડાયા NRC સાથે ?
પ્રતીક હઝેલાને સપ્ટેમ્બર 2013માં તત્કાલિન કોંગ્રેસ સરકારની ભલામણથી સ્ટેટ કોઓર્ડિનેટરના રૂપમાં નિમવામાં આવ્યા. તે સમયે તેઓ રાનેશનલ રૂલર હેલ્થ મિનિસ્ટરના મેનેજિંગ ડાયરેક્ટરના રૂપમાં પોતાની સેવાઓ આપી રહ્યા હતા. આસામના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગાઈએ કહ્યું કે હઝેલાને અમારી ભલામણને આધારે નિમવામાં આવ્યા હતા.
ગુવાહાટી સહિત 10 વર્ષ સુધી ડેપ્યુટી કમિશ્નરના રૂપમાં કામ કરી ચૂકેલા હઝેલાએ સુપ્રીમ કોર્ટની બેંચને રાજ્ય અને કેન્દ્ર પાસે નિયમિત અપડેટ માંગવાનું શરૂ કર્યું. તેમની નજર છેલ્લા ડ્રાફ્ટમાં 3.29 કરોડ આવેદકોના વેરિફિકેશન પર હતી.
શું છે NRC?
નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન એક દસ્તાવેજ છે જે એ વાતની ખાતરી કરે છે કે કઈ વ્યક્તિ દેશનો સાચો નાગરિક છે. અને કોણ દેશમાં નાગરિકતા વિના રહે છે. આ લિસ્ટના આધારે માર્ચ 1971 પહેલાં આસામમાં રહેતા લોકોને ભારતીય નાગરિક માનવામાં આવે છે. આ માટે આ લિસ્ટ આસામના નાગરિકોને માટે બનાવવામાં આવ્યું છે. નાગરિકોને માટે પણ આ યાદી લગાવવામાં આવી છે જેથી તેઓ સાબિત કરી શકે કે 24 માર્ચ 1971 પહેલાં ભારતમાં તેઓ રહેતા હતા કે નહીં. આસામમાં બાંગ્લાદેશથી આવેલા આતંકવાદીઓ પર વિવાદ થવાના કારણે સુપ્રીમ કોર્ટે NRCને અપડેટ કરવાનું કહ્યું હતું.
NRC લિસ્ટમાં ન હતું પોતાનું અને દીકરીનું નામ
પ્રતીક હઝેલાએ એનઆરસીને માટે આવેદન ભર્યું હતું. 31 ડિસેમ્બર 2017માં પહેલું લિસ્ટ જાહેર થયું. જેમાં તેમનું અને તેમની દીકરીનું નામ સામેલ ન હતું. ત્યારબાદ રાજ્યમાં લાખો લોતોની જેમ આ પિતા-પુત્રી પણ મે 2018માં ગુવાહાટીમાં સુનાવણી માટે ગયા હતા. ત્યારબાદ તેમનું નામ અંતિમ ડ્રાફ્ટમાં સામેલ થયું.
ઉલ્લેખનીય છે કે આસામ પહેલું રાજ્ય છે જ્યાં ભારતીય નાગરિકોના નામ સામેલ કરવા માટે 1951 પછી એનઆરસીને અપડેટ કરવામાં આવી રહ્યું છે. NRCની પહેલી યાદી 1951માં જાહેર થઈ હતી.