બિહારની સત્તાધારી પાર્ટી જનતા દળ યૂનાઇટેડ (JDU)ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર (Prashant Kishor) રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર એટલે કે એનઆરસી (NRC)ના મુદ્દે પોતાના વલણ પર કાયમ છે. રવિવારે સવારે એક ટ્વિટ કરી તેઓએ આ વાતને પૂર્ણ રીતે સ્પષ્ટ કરી દીધી છે.
જેડીયૂના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર NRCના મુદ્દે પોતાના વલણ પર કાયમ છે
દેશભરમાં એનઆરસીનો વિચાર નાગરિકતાની નોટબંધી બરાબર છે : પ્રશાંત કિશોર
શનિવારે પ્રશાંત કિશોરે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની મુલાકાત લીધી હતી
કિશોરે લખ્યું છે કે તેઓ આખા દેશમાં એનઆરસી લાગૂ કરવા પર તેના વિરોધને લઇને પોતાના વલણ પર કાયમ છે. તેઓેએ ટ્વિટ કર્યું, દેશભરમાં એનઆરસીનો વિચાર નાગરિકતાની નોટબંધી બરાબર છે. જ્યાં સુધી તમે તેને સાબિત નથી કરતા ત્યાં સુધી તમે અમાન્ય છો. અમે અમારા અનુભવથી જાણીએ છીએ કે ગરીબ અને હાંશિયામાં ધકેલાઇ ગયેલા લોકો તેનાથી સૌથી વધારે પ્રભાવિત થાય છે.
The idea of nation wide NRC is equivalent to demonetisation of citizenship....invalid till you prove it otherwise.
The biggest sufferers would be the poor and the marginalised...we know from the experience!!#NotGivingUp
ગત શનિવારે પ્રશાંત કિશોરે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ મીડિયા સાથેની વાતચીતમાં કિશોરે કહ્યું હતું કે નીતીશ દેશભરમાં એનઆરસીના મામલામાં વિરોધના પોતાના જુના સ્ટેન્ડ પર કાયમ છે. તેઓએ કહ્યું કે, મુખ્યમંત્રીને લાગે છે કે એનઆરસી અને નાગરિકતા સંશોધન બિલ એક સાથે ખતરનાક છે.
પ્રશાંત કિશોર અને મુખ્યમંત્રી નીતીશ કુમારની મુલાકાતને લઇને અટકળો લગાવાઇ રહી હતી કે પ્રશાંત કિશોર મુખ્યમંત્રીને મળીને પાર્ટી ઉપાધ્યક્ષના પદેથી રાજીનામુ આપી દેશે. જોકે બાદમાં સામે આવ્યું કે નીતીશ કુમારે પ્રશાંત કિશોરનું રાજીનામુ ફગાવી દીધું છે.