પ્રશાંત કિશોરે કોંગ્રેસની ઓફર ઠુકરાવતા ખોડલધામના ચેરમેન અને પાટીદાર આગેવાન નરેશ પટેલના રાજકીય પ્રવેશને લઈને અનેક શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે આ અંગે ગુજરાતના રાજકીય નિષ્ણાંતે પોતાનો મત રજૂ કર્યો છે.
પ્રશાંત કિશોર અને નરેશ પટેલને લઈને હરિ દેસાઈનું મહત્વનું નિવેદન
નરેશ પટેલ અને PKનો જે પ્લાન હતો તે કોંગ્રેસને ફાવ્યો નહીં: હરિ દેસાઈ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓમાં તૈયારીઓ લાગી ગઈ છે. ત્યારે ગુજરાતની રાજનીતિમાં પગ મૂકવાની તૈયારીઓ નરેશ પટેલ કરી રહ્યા છે. પરંતુ આજે પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં ન જોડાવાના એલાન બાદ હવે નરેશ પટેલના રાજકીય ભવિષ્યનું શું થશે તેના પર મોટો સવાલ ઊભો થયો છે. ત્યારે આ અંગે રાજકીય વિશેષજ્ઞ હરિ દેસાઈએ જણાવ્યું કે, નરેશ પટેલે પોતે જ કોંગ્રેસમાં જોડાવાની બેઠકમાં જાહેરાત કરી હતી. હવે નરેશ પટેલ પાછી પાની કરે તો ખોડલધામનો હોદ્દો પણ જોખમમાં આવે. પ્રશાંત કિશોર એક ટોપલામાં બધા ઈંડા રાખવા માંગે છે તે શક્ય નથી. શક્ય છે કે પ્રશાંત કિશોર બહારથી કોંગ્રેસને મદદ કરે. પ્રશાંત કિશોર પ્રોફેશનલ છે તેઓ કઈ પણ કરી શકે.
નરેશ પટેલને કોંગ્રેસમાં જવું હતું પણ PK વગર નહીં
પ્રશાંત કિશોર કોંગ્રેસમાં નથી જોડાવવાના આ સમાચાર આવતા જ ગુજરાતનું રાજકારણ તેજ થઈ ગયું. નરેશ પટેલ પહેલેથી કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા હોવાનું માનવામા આવે છે પરંતુ ચૂંટણી પહેલા પાર્ટીમાં જોડાવવા માટે એક શરત રાખી હોવાનું સૂત્રો દ્વારા સામે આવ્યું હતું, પ્રશાંત કિશોરને જો ગુજરાતમાં કોંગ્રેસની કમાન સોંપવામાં આવે તો નરેશ પટેલ પણ પાર્ટીમાં જોડાય.
પાટીદાર સમાજ નથી ઇચ્છતો કે નરેશ પટેલ રાજનીતિમાં આવેઃ સૂત્ર
પાટીદાર આગેવાન નરેશ પટેલના સક્રિય રાજકારણમાં જોડાવવાની અટકળો પર હજુ પણ પ્રશ્નાર્થ ઉભો થયો છે. વીટીવી ન્યૂઝ પાસે આવેલી માહિતી મુજબ રાજકારણમાં જોડાવવું કે નહીં તે અંગે નરેશ પટેલે કરાવેલા સર્વેમાં કેટલાક લોકોએ નકારાત્મક તારણ આપ્યું છે. એટલે કે પાટીદાર સમાજના જ કેટલાક લોકો નથી ઈચ્છી રહ્યા કે નરેશ પટેલ કોઈપણ પક્ષમાં જોડાઈને સક્રીય રાજકારણમાં આવે.
નરેશ પટેલનું હવે શું? નરેશ પટેલ હવે રાજકારણમાં પ્રવેશ જ નથી કરવો તેવી જાહેરાત કરી શકે છે. આ સિવાય તેમની પાસે બીજા 2 વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી છે. જોકે રાજકીય પંડિતોનું માનીએ તો નરેશ પટેલ હવે ખોડલધામના ચેરમેન જ બન્યા રહેવાનું પસંદ કરશે.
પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં સામેલ થવાની ઓફર ઠુકરાવી દીધીઃ રણદીપસિંહ સૂરજેવાલા
ઘણા દિવસોથી પ્રશાંત કિશોર અને કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ વચ્ચે સતત બેઠકોનો દૌર ચાલી રહ્યો હતો. એવી ચર્ચા જોર પકડ્યું હતું કે, પ્રશાંત કિશોર કોંગ્રેસમાં સામેલ થશે. આ મૈરાથોન બેઠકો સાથે પ્રશાંત કિશોરે સંગઠન માળખામાં ફેરફાર અને અન્ય પાસાઓને લઈને ભારેખમ પ્રેઝન્ટેશન પણ રજૂ કર્યું હતું. પરંતુ મંગળવારે રણદીપ સિંહ સૂરજેવાલાનું એક ટ્વીટ આવ્યું અને તમામ અટકળો પર વિરામ ચિહ્ન લાગી ગયું. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે પ્રશાંત કિશોર સાથેની ચર્ચાવિચારણા બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ એમ્પાવર્ડ એક્શન ગ્રુપ 2024ની રચના કરી હતી અને કિશોરને કોંગ્રેસમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ હવે તેમણે કોંગ્રેસમાં સામેલ થવાની ઓફર ઠુકરાવી દીધી છે. તેમણે કહ્યું કે અમે કિશોરના પ્રયાસો અને સૂચનોને કદર કરીએ છીએ.
હું કોંગ્રેસની ઓફરનો અસ્વીકાર કરું છુંઃ પ્રશાંત કિશોર
મંગળવારે પ્રશાંત કિશોરે ટ્વિટ કરીને એલાન કર્યું કે હું કોંગ્રેસ દ્વારા મને પાર્ટીમાં સામેલ કરવાની ઓફર આપવામાં આવી છે જેનો હું અસ્વીકાર કરું છું. પ્રશાંત કિશોર પાર્ટીને સલાહ આપી કે તમારે મારી નહીં સારા લીડરશીપની જરૂર છે. કોંગ્રેસમાંથી પણ પ્રવક્તા દ્વારા ટ્વિટ કરીને જાણકારી આપવામાં આવી હતી કે પ્રશાંત કિશોરે હાઇકમાન્ડ સામે પ્રેઝેન્ટેશન આપ્યું અને સલાહ સૂચન કર્યા હતા તે બદલ આભર.
PKની ડાયનેમિક એન્ટ્રી રદ્દ થતા નરેશ પટેલ સલવાયા
કેટલાક કારણોસર ચૂંટણીના ચાણક્ય પ્રશાંત કિશોરે કોંગ્રેસમાં જોડાવાથી સ્પષ્ટ ઈનકાર કરી દીધો. જેની સીધી અસર ગુજરાતની આગામી વિધાનસભાની ચૂંટણીમાં જોવા મળશે. કારણ કે ખોડલધામના ચેરમને નરેશ પટેલ અને પ્રશાંત કિશોર સાથે મળીને ગુજરાતમાં કોંગ્રેસની કમાન સંભાળવાના હતા. પરંતુ PKની ડાયનેમિક એન્ટ્રી રદ્દ થતા નરેશ પટેલ પણ ક્યાંક સલવાયા હોય તેવો ઘાટ સર્જાયો છે.