બનાસકાંઠામાં મા અર્બુદા રજત જયંતિ મહોત્સવનો પ્રસાદ તૈયાર
5 હજાર મહિલાઓએ બનાવ્યા 5 લાખ લાડુ
10 લાખથી વધુ લોકો આવશે દર્શન માટે
પાલનપુર ખાતે અર્બુદા રજત જયંતિ મહોત્સવમાં યોજાનારા સૌથી મોટા સહસ્ત્ર ચંડી 108 કુંડી યજ્ઞને લઈને આજે માંનો મહાપ્રસાદ બનાવવા માટે બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. 5,000થી વધુ મહિલાઓ હાજર રહી લાડુ બનાવવાની શરૂઆત કરી હતી. આ મહાપ્રસાદ બનાવવા તમામ કામગીરી મહિલાઓ દ્વારા જ કરવામાં આવી હતી.
માં અર્બુદા રજત જયંતિ મહોત્સવનો પ્રસાદ તૈયાર
માં અર્બુદા માતાજીનાં રજત જયંતિ મહોત્સવને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ મહોત્સવને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. સૌથી મોટા યોજનારા આ યજ્ઞને લઈને થોડા દિવસ પહેલા બનાસકાંઠા આજણાં ચૌધરી સમાજની પાંચ હજારથી વધુ બહેનોએ યજ્ઞશાળામાં પણ લીંપણનું કામ કર્યું હતું ત્યારબાદ 5 હજાર જેટલી મહિલાઓએ જવારા વાવી અને ઉત્સાહથી આ કામમાં ભાગ લીધો હતો ત્યારે આજે આ સમગ્ર યજ્ઞ દરમિયાન ભોજન પ્રસાદ બનાવવાની આજે શરૂઆત કરવામાં આવી હતી ત્યારે સમગ્ર જિલ્લાનાં ગામડાઓમાં થી પાંચ હજારથી વધુ બહેનો આજે ભોજન પ્રસાદ માટે લાડુ બનાવવા માટે આવી પહોંચી હતી. પશુપાલનનું સવારનું કામ કરી મહિલાઓ ઉત્સાહ સાથે લાડુ બનાવવા પહોચી હતી. એક દિવસમાં પાંચ લાખથી વધુ લાડુ બનાવવા માટે સમાજની તમામ બહેનોએ સવારથી જ કામની શરૂઆત કરી હતી.
માસ્ક, ટોપી, હાથ મોજા પહેરી બનાવ્યો મહાપ્રસાદ
તમામ મહિલાઓ દ્વારા જ આ લાડુ બનાવવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું હતું અને જેને લઈને તમામ મહિલાઓએ લાડુ બનાવવાની તમામ કામગીરી જાતે જ કરી હતી લાડુ બનાવવા તેમજ લાડુને યોગ્ય જગ્યાએ મૂકવા સહિતની કામગીરી મહિલાઓએ કરી હતી. લાડુનો પ્રસાદ બનાવતી વખતે તમામ સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પણ મહિલાઓ દ્વારા માથે ટોપી હાથ મોજા તેમજ માસ્કનો ઉપયોગ પણ કરવામાં આવ્યો હતો એટલે કે આ મહાપ્રસાદ બનાવવામાં ક્યાંય પણ ચૂક ન રહી જાય તે પ્રકારની તમામ બાબતોનું ધ્યાન રાખી અને આજે 5000થી વધુ મહિલાઓએ મહાપ્રસાદ માટે લાડુ બનાવવાની શરૂઆત કરી હતી પ્રથમ દિવસે પાંચ લાખ લાડુ તૈયાર થાય તે માટેનું આયોજન કરાયું હતું હજુ પણ વધારે પ્રસાદ બનાવવા માટે સતત બહેનો આ રીતે માતાજીના આશીર્વાદ થકી સતત ખડે પગે સેવા આપશે.
ત્રણ દિવસનો સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ
અર્બુદા રજત જયંતિ મહોતમો સમગ્ર દેશભરમાંથી દસ લાખથી વધુ ચૌધરી સમાજના ભાઈઓ-બહેનો સહિત અન્ય સમાજના લોકો જ્યારે આ યજ્ઞના દર્શન માટે આવવાના છે ત્યારે આવનાર ભક્તોને પણ કોઈ તકલીફ ન પડે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. સમગ્ર યજ્ઞ ભોજન સમારંભ દરમિયાન ભક્તોને ભોજન માટે પણ કોઈ બહારનો વ્યક્તિ નહીં પણ સમાજના જ ભાઈઓ બહેનોને ભોજન પીરસવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ બહેનો અને યુવાનો પણ આ સમગ્ર કામગીરી દરમિયાન ભોજન પ્રસાદ પીરસવા માટે જોડાશે. એટલે કે માતાજીનાં આ પ્રસંગમાં લાખો લોકો આવવાના છે ત્યારે એમની સેવા કરવા માટે પણ આ પ્રસંગમાં સમાજના લોકો દરેક જગ્યાએ ખડે પગે સેવા બજાવશે. આગામી બે દિવસમાં 1 લાખ લોકો સાથેની શોભાયાત્રા તેમજ 50 હજાર બહેનો મહેદી મૂકશે. 51 હજાર ભક્તો એકસાથે મા અર્બુદાની આરતી કરશે. તેમજ જિલ્લાનાં દરેક ગામમાં સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરાશે.