અંબાજી મંદિરમાં છેલ્લા 50 વર્ષથી દર્શન કરવા આવતા ભક્તોને પ્રસાદ રૂપે મોહનથાળ આપવામાં આવતો હતો. ત્યારે અન્ય મંદિરમાં સુકા પ્રસાદની માંગને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા ચીકીનાં પ્રસાદનું વિતરણ આગામી સમયમાં શરૂ કરવામાં આવશે.
અંબાજી મંદિરમાં મોહનથાળ બંધ થવાના નિર્ણયનો ગામ લોકોએ કર્યો વિરોધ
48 કલાકમાં મોહનથાળ ફરી ચાલુ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
અંબાજી મંદિરમાં મોહનથાળ બંધ થવાના નિર્ણયનો ગામ લોકોએ વિરોધ કર્યો છે. ત્યારે હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા આ બાબતે વિરોધ પ્રદર્શન કરાયું છે. અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ્રને 48 કલાકનું અલ્ટીમેટમ અપાયું છે. 48 કલાકમાં ફરી મોહનથાળ મંદિરમાં ચાલુ કરવા માંગ કરાઈ છે. 48 કલાક બાદ પણ મોહનથાળ ફરી ચાલુ નહી થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. અંબાજી બંધ રાખવું પડે કે ભૂખ હડતાળ કરવી પડે તો પણ તમામ પ્રકારની તૈયારીઓ દર્શાવી છે. હિન્દુ હિત રક્ષા સમિતિના કાર્યકર્તાઓ સાથે ગામ લોકો મોટી સંખ્યામાં એકઠા થયા. પ્રસાદ ફરી ચાલુ નહી થાય તો અંબાજી ગામને બંધ રાખી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. અંબાજી મંદિરમાં મોહનથાળના બદલે ચીક્કી પ્રસાદ વિતરણ વ્યવસ્થામાં મુકવાનું આયોજન છે. અંબાજી મંદિરમાં મોહનથાળ પ્રસાદ મામલે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. અન્ય મંદિરમાં સુકા પ્રસાદની માંગને ધ્યાને રાખી નિર્ણય લેવામાં આવ્યો
સોમનાથ, તિરૂપતિ સહિતના મંદિરોમાં પણ સુકા પ્રસાદની માંગણી છે. જે માંગને લઈને જ અંબાજી મંદિરમાં ચીકીના પ્રસાદનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચીકીનો પ્રસાદ સુકો હોવાથી ભક્તો ત્રણ માસ સુધી રાખી શકે છે. જેથી સુકા પ્રસાદ અંગે મંદિરને રજૂઆત કરવામાં આવી હતી. જેથી મોહનથાળના સ્થાને ચીકીનો પ્રસાદ વહેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચીકીના સુકા પ્રસાદ માટે અમૂલ અને બનાસ ડેરી સાથે ચર્ચા ચાલી રહી છે. ત્યારે અમૂલ બ્રાન્ડ હોવાથી ચીકીનો પ્રસાદ દેશ-વિદેશમાં પણ જશે. 50 વર્ષથી માં અંબેને મોહનથાળનો પ્રસાદ ધરાવવામાં આવે છે
પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરમાં છેલ્લા 50 વર્ષથી માં અંબેને મોહનથાળનો પ્રસાદ ધરાવીને ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે. ત્યારે આ મોહનથાળને વિવિધ બોક્સમાં પેક કરીને યાત્રિકોને નિયત ભાવે વેચાણ કરવામાં આવે છે. ત્યારે દેશ-વિદેશ તેમજ ગુજરાતમાં પણ દૂર દૂરથી આવતા લોકો માં અંબાના પ્રસાદને પોતાનાં ઘરે લઈ જાય છે. મંદિરમાં ભક્તોનો ઘસારો હોઈ આજથી જ ચીકીનો પ્રસાદ આપવાનો નિર્ણય કરાયો
મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરી હાલ પુરતી તો બંધ કરવામાં આવી છે. ત્યારે હમણા તહેવારને લઈ મંદિરમાં ભક્તો ઉમટ્યા હોઈ મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચીકીનો પ્રસાદ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.