હાથીજણ વિસ્તારમાં આવેલા નિત્યાનંદના યોગિની સર્વાજ્ઞપીઠમ આશ્રમમાં તામિલનાડુના પરિવારને તેમની દીકરીને મળવા ન દેવાનો વિવાદ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. સગીર વયનાં ભાઇ-બહેનનું અપહરણ કરીને તેમને બળજબરીપૂર્વક ગોંધી રાખ્યા બાદ બાળમજૂરી કરાવવાના મામલે અમદાવાદ જિલ્લાની વિવેકાનંદનગર પોલીસે બે સાધ્વી હિરણી ચેલ્લાપ્પન ઉર્ફે પ્રાણપિર્યાનંદા અને રિદ્ધિ રવિકિરણ ઉર્ફે નિથ્યા પિર્યાતત્ત્વાનંદાની ધરપકડ કરી હતી, જે તે હાલ પોલીસ રિમાન્ડ પર છે.
નિત્યાનંદ આશ્રમ વિવાદ
2 સાધ્વીઓના રિમાન્ડ પૂર્ણ
હાઇકોર્ટમાં કરાશે હાજર
આજે બંને જણાના રિમાન્ડ પૂરા થતાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે, જ્યાં તેમને સેન્ટ્રલ જેલમાં જવું પડશે કે પછી જામીન મળશે તેના પર સૌની નજર છે. પોલીસ આજે બંને સાધ્વીઓના વધુ રિમાન્ડ માગ કરશે નહીં.
રિમાન્ડ પૂર્ણ થતાં આજે કોર્ટમાં રજૂ કરાશે
અમદાવાદ જિલ્લાની વિવેકાનંદનગર પોલીસે વિવાદિત સ્વામી નિત્યાનંદ અને બે સાધવી વિરુદ્ધમાં બાળકોનું અપહરણ કરીને તેમને ગોંધી રાખ્યા બાદ બાળમજૂરી કરાવવાનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે બંને જણાની ધરપકડ કરીને રિમાન્ડ માગ્યા હતા, જે પૂરા થતાં આજે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી
યુવતીના પિતા જનાર્દન શર્માની હેબિયેસ કોર્પસ અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી. કેસની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે તપાસ એજન્સીઓને નિર્દેશ કર્યો હતો કે ગમે ત્યાં જવું પડે તો જાવ પણ બંને યુવતીઓને હાજર કરો. અમને બંને યુવતીઓની ચિંતા છે.
વધુ સુનાવણી 10 ડિસેમ્બરે હાથ ધરાશે
આ યુવતીઓ કોઈના દબાણમાં છે કે કેમ તે જાણવું જરૂરી છે. આ ઉપરાંત હાઈકોર્ટે બંને યુવતીઓનાં લોકેશન શોધવા માટે પોલીસને ભારતીય દૂતાવાસની મદદ લેવા માટે કહ્યું છે. આ મામલે વધુ સુનાવણી 10 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. કોર્ટે પોલીસને નિર્દેશ કર્યો હતો કે આગામી 10 ડિસેમ્બર સુધીમાં બંને ગુમ યુવતીઓને પોલીસ હાજર કરે.