અમદાવાદમાં અમિત શાહ અને શરદ પવાર વચ્ચે બેઠક થઈ હોવાના અહેવાલ વચ્ચે પ્રફુલ્લ પટેલે દાવો કર્યો છે કે સરકાર સ્થિર અને સુરક્ષિત છે.
મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું
પવાર અને શાહ વચ્ચે ગુપચુપ મીટિંગના અહેવાલથી હડકંપ
પ્રફુલ્લ પટેલે કહ્યું સરકાર સ્થિર છે
મહારાષ્ટ્રમાં એનસીપી અને ભાજપ વચ્ચે ગઠબંધનને લઈને ચર્ચા ચાલી રહી છે તેવી ચર્ચાઓ વચ્ચે એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે રવિવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સરકાર સ્થિર અને સુરક્ષિત છે.
શું કહ્યું પ્રફુલ્લ પટેલે
કેરળમાં પત્રકારો સાથે વાતચીતમાં પ્રફુલ્લ પટેલે કહ્યું કે આપણે સૌ જાણીએ છીએ કે મહાવિકાસ આઘાડીનું ગઠન શરદ પવારના કારણે જ થયું છે. રાજ્યમાં અનાવશ્યક ચીજ પર વાત કરવાનું કોઈ કારણ નથી. જ્યાં સુધી સરકારનો સવાલ છે, ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સરકાર સ્થિર અને સુરક્ષિત છે. તેમણે વધુમાં કહ્યું કે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી લોકોના હીતમાં રાષ્ટ્રીય સ્તર પર પણ કામ કરતી રહેશે. અમે ભાજપની વિચારધારાના વિરોધી છે. પાછલા બારણે ગઠબંધન કરીને અનાવશ્યક વાતોનો કોઈ મતલબ જ નથી.
શું છે સમગ્ર મામલો?
નોંધનીય છે કે હાલમાં જ સમાચાર આવ્યા હતા કે શરદ પવાર અને પ્રફુલ્લ પટેલ જ્યારે અમદાવાદ આવ્યા હતા ત્યારે તેમની મુલાકાત ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ થઈ હતી. આ મુલાકાતના સમાચાર આવ્યા બાદ મહારાષ્ટ્રમાં રાજકારણ તેજ થઈ ગયું હતું. આ મુદ્દે રાજકીય પંડિતો જુદા જુદા તર્ક કાઢી રહ્યા હતા ત્યારે મહારાષ્ટ્રમાં એનસીપી અને ભાજપ વચ્ચે કોઈ સમજૂતી થશે કે શું? તે મુદ્દે અટકળો થઈ રહી હતી.
તમામ વાતો સાર્વજનિક ન કરવાની હોય : અમિત શાહ
આ બધી અટકળો વચ્ચે રવિવારે જ્યારે અમિત શાહને પૂછવામાં આવ્યું કે શું તેમની મુલાકાત શરદ પવાર સાથે થઈ તો તેમણે જવાબ આપ્યો હતો કે તમામ વાતો સાર્વજનિક ન કરવાની હોય. જે બાદ અટકળો વધારે તેજ બની હતી. જોકે સાંજ સુધીમાં એનસીપીના નવાબ મલિકે પુષ્ટિ કરી દીધી કે આવી કોઈ જ મુલાકાત થઈ નથી.