ગુજરાતમાં દારૂબંધી છે. છતાં દારૂ ખુલ્લેઆમ મળે છે. તે વાત આપણે સૌકોઈ જાણીએ છીએ. તેવામાં હવે રાજ્યમાં દારૂબંધી હટાવવા દિગ્ગજ નેતાઓ અને કેટલાક લોકો માંગણી કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં દારૂબંધી હટાવવા માટે અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. જોકે હવે આ દારૂબંધી દૂર કરવાની માગ વચ્ચે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મહત્વનું નિવેદન આપ્યું છે.
દારૂબંધી દૂર કરવાની માગ વચ્ચે પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન
ગુજરાતમાં દારૂબંધી નહીં હટેઃ પ્રદીપસિંહ
નશાબંધી માટે સરકાર કટિબદ્ધ છેઃ પ્રદીપસિંહ
રાજ્ય સરકારે કડક વલણ દર્શાવતા જણાવી દીધું કે, ગુજરાતમાંથી દારૂબંધી નહીં હટે. આજે 2જી ઓક્ટોબરે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિના દિવસે જ રાજ્યના ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એક નિવેદનમાં રાજ્યમાંથી દારૂબંધી હટાવવી અશક્ય હોવાનું તેમણે જણાવ્યું હતું.
ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી નહીં હટે. નશા બંધી માટે સરકાર કટિબદ્ધ છે. બદીના કારણે અનેક પરિવારો ઉઝડે છે. તેથી ગુજરાતમાંથી દારૂબંધી હટાવવી શક્ય નથી.
મારી સરકાર આવશે તો દારૂબંધી હટાવી દઇશઃ શંકરસિંહ વાઘેલા
રાજ્યમાં ઠેકઠેકાણે દારૂ વેચાય છે તે તમામ જનતા જાણે છે. પાડોશી રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂ પ્રવેશે છે તે પણ લોકો જાણે છે. બુટલેગરો પર પોલીસ તંત્રની મીઠી નજર હોવાનું પણ અનેક વખત સામે આવી ચૂક્યું છે. તેવામાં શંકરસિંહ વાઘેલા રાજ્યમાંથી દારૂબંધી દૂર કરવા મેદાનમાં આવ્યા છે. તેઓ જણાવી ચૂક્યા છે કે, રાજ્યમાં નામ માત્રની દારૂબંધી છે. હાલ રાજ્યમાં કેમિકલ યુક્ત દારૂ પીને યુવાનો બિમારી તરફ ધકેલાય રહ્યા છે. દારૂબંધી હટાવવાથી મહૂડા અને અન્ય પ્રકારના દારૂ રાજ્યમાં બનશે જેનાથી રોજગારી ઉત્પન્ન થશે અને રાજ્યની જનતાને સારો દારૂ મળશે. મારી સરકાર આવશે તો દારૂબંધી હટાવી દઇશ.
થોડા દિવસો અગાઉ શંકરસિંહ વાઘેલાએ ભાજપ અને કોંગ્રેસને પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ ગણાવી હતી. ભાજપ-કોંગ્રેસ ક્યારેય દારૂબંધી નથી હટાવી. બંને પક્ષો દારૂબંધીથી વેપાર કરવા માગે છે. ભાજપ-કોંગ્રેસ દારૂબંધીના વેપારીમાં ભાગીદાર છે. દારૂબંધથી ગુજરાતીઓનો ફાયદો ઉઠાવવા માંગે છે.
પૂર્વ CM શંકરસિંહ વાઘેલાનું ટ્વીટર પર અભિયાન
ગુજરાતમાંથી દારૂબંધી હટાવવા માટે શંકરસિંહ વાઘેલાએ ટ્વીટર પર અભિયાન કર્યું છે. જેમાં દારૂબંધી હટાવવા માટે સૂચનો મંગાવ્યા છે. રાજ્યમાંથી દારૂબંધી હટાવવાના સમર્થનમાં હજારો ટ્વીટ થયા છે. પોતાની સરકાર બનતા દારૂબંધી હટાવવાનું શંકરસિંહે વચન આપ્યું છે. દારૂબંધીના કારણે સરકારને આવકમાં મોટું નુકસાન થશે. દારૂની હેરાફેરી અટકાવવા પોલીસે જહેમત ઉઠાવવી પડે છે. જોકે રાજકોટના યુવાનોએ અભિયાનનો વિરોધ કર્યો હતો. જેમાં યુવાનોએ કહ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી જરૂરી હોવી જોઈએ.
દારૂબંધીના કારણે રાજ્યના ટુરિઝમ પર અસર પડી રહી છેઃ વડોદરાના મહારાણી
રાજ્યમાં ફરી દારૂબંધીનો મુદ્દો ઉઠ્યો છે. રાજ્યની હેરિટેજ ટુરિઝમ પોલિસીને લઇ વડોદરાના મહારાણીએ મોટું નિવેદન આપ્યું હતું. ટુરિઝમ પોલિસી અંગે સવાલ ઉઠાવતા તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી ટુરિઝમ પોલિસીની સફળતા સામે મોટી રૂકાવટ છે. ડ્રાયસ્ટેટ હોવાથી રાજ્યમાં ક્યાંથી આવશે લક્ઝરી ટુરિસ્ટ. ગુજરાત પાસે મહેલો-કિલ્લાઓનો ભવ્ય વારસો છે પરંતુ દારૂબંધીના કારણે રૂકાવટ આવી રહી છે. જ્યારે રાજસ્થાનમાં ટુરિઝમની દારૂની છૂટથી સફળતા મળી છે. રાજસ્થાનમાં પ્રવાસી વાઇનનો ગ્લાસ લઇને બેસી શકે છે.
દારૂબંધીના કારણે રાજ્યને દર વર્ષે 25 કરોડનું નુકસાન થાય છેઃ નાગરીક અધિકાર રક્ષા સમિતિ
ગુજરાતમાં દારૂબંધી હટાવવા શરૂ હટાવવા માટે ઝુંબેશ શરૂ કરાઇ છે. નાગરીક અધિકાર રક્ષા સમિતિએ દારૂબંધી હટાવવા માંગણી કરી છે. દારૂબંધી નિતિમાં પુનઃવિચાર કરવા કરી માંગણી કરી છે. પાંચ મુદ્દાની માંગણી સાથે સમિતિએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. નાગરીક અધિકાર રક્ષા સમિતિએ આ માંગણી સાથે દાવો કર્યો છે કે, દારૂબંધીના કારણે રાજ્યને દર વર્ષે 25 કરોડનું નુકસાન થાય છે. તેમજ પ્રવાસન ઉદ્યોગ પર પણ માઠી અસર પડી રહી છે.
રાજ્યમાં દારૂબંધીનો કડકમાં કડક અમલ થશેઃ CM
થોડા મહિનાઓ અગાઉ ભાવનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે, દારૂ બંધીનો ભંગ કરનારાને છોડવામાં નહીં આવે. તેમની સામે કડમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યમાં દારૂબંધીનો કડકમાં કડક અમલ થશે.