ગાંધીનગરઃ શહેરનાં પાંડેસરા વિસ્તારમાં થયેલ બાળકી પરનાં દુષ્કર્મ બાદ હત્યા મામલે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં પ્રદિપસિંહ જાડેજાએ નિવેદન આપતાં જણાવ્યું કે "સુરતમાં પાંડેસરામાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમાં હવે એક નવો જ વળાંક આવશે.
કેમ કે હવે બાળકીની હત્યા દુષ્કર્મ મામલે પોસ્કોનો ગુન્હો દાખલ કરાયો છે. પોસ્કોની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. સોશિયલ મીડિયાનાં માધ્યમથી અન્ય રાજ્યમાં પણ સંપર્ક કર્યો હતો. તપાસમાં 400 લોકોનો સ્ટાફ કામે લાગ્યો હતો. શંકાસ્પદ સફેદ કલરની કાર પણ મળી આવી છે.
મહત્વનું છે કે મુખ્ય આરોપી ઝડપાઇ ગયો છે. પોલીસ આ આરોપીને લઈને ગુજરાત આવવા નીકળી ગઈ છે. મૃત બાળકીની માતાની પણ લાશ મળી આવી છે. હવે આ મામલે ફાસ્ટટ્રેક કોર્ટથી સજા મળે તે રીતે કેસ ચલાવાશે. સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એટલે કે સરકારી વકીલની નિમણુંક કરવામાં આવશે.
રાજસ્થાનનાં ગંગાપુર ગામેથી આ આરોપી ઝડપાયાં છે. આ લોકોને બાળકીની હત્યામાં કડક સજા કરવામાં આવશે. મુખ્ય આરોપી હર્ષ સહાય છે કે જેની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે 35 હજારમાં માતા-બાળકીને વેચી હોવાની શક્યતા સેવાઇ રહી છે.