ગૃહમંત્રીએ ટ્વીટમાં લખ્યું હતું કે, મને કોરોનાના સામાન્ય લક્ષણો જણાતા ટેસ્ટ કરાવેલ જેનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે. ડોક્ટરોની સલાહ પર હું હોસ્પિટલમાં દાખલ થઇ રહ્યો છું. મારી સૌને આગ્રહભરી વિનંતી છે કે, હાલમાં મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને પોતે સ્વસ્થ છે તેની કાળજી લેવા વિનંતી.
ગુજરાતમાં આજે નોંધાયા છે રેકોર્ડ બ્રેક 2815 કેસ
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 2815 કેસ નોંધાયા છે અને 2063 દર્દીઓ સાજા થયાં છે. આ સાથે જ અત્યાર સુધીમાં 2,96,713 દર્દીઓ કોરોના મુક્ત થયાં છે. તો આજે 13 લોકોના સારવાર દરમિયાન મોત થયાં છે.
અત્યાર સુધીમાં 4552 લોકોના થયાં મોત
આમ ગુજરાતમાં અત્યાર સુધીમાં 4552 લોકોના મોત કોરોનાને કારણે થયાં છે. ગઇકાલ કરતા આજે કોરોનાના કેસમાં ચિંતાજક ઉછાળો નોંધાયો છે તો સાથોસાથ મૃત્યુનો આંકડો પણ દિવસેને દિવસે વધી રહ્યો છે.
સુરત અને અમદાવાદમાં કોરોનાની રફતાર વધી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી કોરોનાએ માથું ઉચક્યું છે. કોરોનાના કેસમાં સતત વધારો થતા ચિંતા વધી છે. અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 646 કેસ અને ગ્રામ્યમાં 13 નવા કેસ નોંધાયા છે. જ્યારે સુરત શહેરમાં 526 નવા કેસ, જ્યારે સુરત ગ્રામ્યમાં 161 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 303 કેસ, જ્યારે ગ્રામ્યમાં 81 કેસ નોંધાયા. રાજકોટ શહેરમાં 236 કેસ અને ગ્રામ્યમાં 41 કેસ નોંધાયા છે.