કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) હેઠળ હવે તમે પણ સરળતાથી નાના ઉદ્યોગો શરૂ કરી શકો છો. આ યોજના હેઠળ લોકોને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે સરકાર લોન આપે છે.
સરકારની આ યોજના હેઠળ 29 કરોડ લોકો લઈ ચૂક્યા છે લાભ
મોદી સરકારની પ્રધાનમંત્રી મુદ્રા યોજના
મુદ્રા સ્કીમ હેઠળ ગેરંટી વગર લોન પૂરી પાડવામાં આવે છે
સરકારે નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે MUDRA (માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ રિફાઇનાન્સ એજન્સી) સ્કીમની શરૂઆત એપ્રિલ 2015માં કરી હતી. દેશમાં નાના અને મધ્યમ ઉદ્યોગોની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે સરકારે પ્રધાનમંત્રી મુદ્રા યોજના શરૂ કરી હતી.
નાણાં મંત્રાલયે બુધવારે જણાવેલી માહિતી અનુસાર, બેંકો, નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એનબીએફસી) અને માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓએ વડા પ્રધાન યોજના અંતર્ગત છેલ્લા 6 વર્ષમાં 28.68 કરોડથી વધુ લાભાર્થીઓને 14.96 લાખ કરોડની લોન મંજૂરી આપી છે. 2015-2018ની વચ્ચે આ યોજનાએ 1.12 કરોડ વધારાનું રોજગાર ઊભું કરવામાં મદદ કરી છે.
મુદ્રા યોજના હેઠળ ત્રણ પ્રકારની લોન આપવામાં આવે છે. જેમાં શિશુ લોન, કિશોર લોન અને તરુણ લોન સામેલ છે. શિશુ લોન અંતર્ગત 50,000 રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. કિશોર લોન હેઠળ 50,000થી 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. તરુણ લોન અંતર્ગત 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની લોન મેળવી શકાય છે.
શું છે મુદ્રા લોન
પ્રધાનમંત્રી મુદ્રા યોજના(PMMY)નું પૂરું નામ માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ રિફિન્સન્સ એજન્સી છે. મુદ્રા યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે, આ અંતર્ગત સરકાર લોકોને કોઈ ગેરંટી વગર લોન આપે છે. ઉપરાંત, તેમની પાસેથી કોઈ પ્રોસેસિંગ ચાર્જ લેવામાં આવતો નથી. એટલું જ નહીં, જો લોન લેનાર વ્યક્તિ લોનની રકમ ચુકવવામાં 5 વર્ષ અને તેનાથી વધુનો સમય લઈ શકે છે.
મુદ્રા લોન પર કેટલો વ્યાજદર?
મુદ્રા લોન હેઠળ કોઈ ચોક્કસ વ્યાજદર નથી. અરજદારના વ્યવસાયના જોખમના આધારે વિવિધ બેંકો અને વ્યાજ દર અલગ અલગ હોઈ શકે છે. સામાન્ય રીતે મુદ્રા લોનનો વ્યાજદર દર વર્ષે આશરે 12% છે. મુદ્રા લોન યોજના હેઠળ, સરકાર તરફથી કોઈ સબસિડી આપવામાં આવી નથી. જો અરજદારએ બીજી કોઈ યોજના હેઠળ સબસિડી માટે અરજી કરી હોય કે જેમાં સરકાર કેપિટલ સબસિડી આપતી હોય તો તે સબસિડી મુદ્રા લોન સાથે જોડી શકાય છે.
આ રીતે કરો એપ્લાય
મુદ્રા યોજના હેઠળની લોન માટે તમારે સરકાર અથવા બેંક શાખામાં અરજી કરવાની રહેશે. જો તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હો તો તમારે માલિકી અથવા ભાડાના દસ્તાવેજો, કાર્ય સંબંધિત માહિતી, આધાર, પાન નંબર અને ઘણાં અન્ય દસ્તાવેજો આપવા પડશે.
આ દસ્તાવેજોની જરૂર પડશે
કોઈપણ ભારતીય નાગરિક મુદ્રા લોન માટે અરજી કરી શકે છે. જોકે, મુદ્રા યોજનામાં, મહિલાઓ અને એસસી / એસટી અરજદારોને લોન માટે પ્રાથમિકતા આપવામાં આવે છે. એસબીઆઈ પાસેથી મુદ્રા લોન લેવા માટે ઓળખકાર્ડ, એડ્રેસના પુરાવા, બેંક સ્ટેટમેન્ટ, ફોટોગ્રાફ, વેચાણ દસ્તાવેજો, પ્રાઈસ કોટેશન્સ, વ્યવસાય આઈડી અને સરનામાંનું પ્રમાણપત્ર આવશ્યક છે. આ સિવાય જીએસટી ઓળખ નંબર, આવકવેરા રીટર્ન વિશે પણ માહિતી આપવાની રહેશે. તમે એસબીઆઇની આ વેબસાઇટની મુલાકાત લઈને મુદ્રા લોન માટે અરજી કરી શકો છો.