કેન્દ્રીય આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને લોકસભામાં જાણકારી આપી હતી કે આયુષ્માન ભારત યોજના સંપૂર્ણ રીતે યોગ્ય ચાલી રહી છે અને દેશના ૧૦.૭૪ કરોડ પરિવારોને અત્યાર સુધી તેનો લાભ મળ્યો છે. થોડા દિવસ પહેલા રાજ્યસભામાં આરોગ્યપ્રધાને કહ્યું હતું કે દેશમાં ૧૯,૦૦૦ આયુષ્માન ભારત યોજના માટેના આરોગ્ય અને સુખાકારી કેન્દ્ર (એબીએચડબલ્યુસી) ચાલી રહ્યા છે.
તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે નાણાકીય વર્ષ ર૦૧૯-ર૦ના અંત સુધીમાં આવા કેન્દ્રોની સંખ્યા ૪૦,૦૦૦ કરવામાં આવશે. આ યોજના દેશના સામાન્ય અને ગરીબ નાગરિકોનાં સ્વાસ્થ્ય સાથે જોડાયેલી છે, તેથી સરકારનો ઉત્સાહ સમજી શકાય તેવો છે, પરંતુ આરોગ્ય પ્રધાનના આ નિવેદનોમાં આ યોજના સાથે સંકળાયેલા ચિંતાજનક પાસાઓની કોઈ ઝલક દેખાતી નથી.
તેમાંથી સૌથી ખતરનાક છે કે આ યોજનાનો લાભ લઇ હોસ્પિટલો દ્વારા કરવામાં આવતી છેતરપિંડી કે જેમાં નામાંકિત હોસ્પિટલોનો પણ સમાવેશ થાય છે. અમદાવાદ સહિત ગુજરાતની કેટલીક ટોચની હોસ્પિટલોને યોજનાના લાભાર્થીઓ પાસેથી પૈસા પડાવવા બદલ સસ્પેન્ડ કરાઇ છે અને દર્દીઓ પાસેથી લીધેલાં નાણાની વસૂલાત માટે નોટિસ પણ ફટકારાઇ છે.
નેશનલ હેલ્થ ઓથોરિટીના એન્ટી ફ્રોડ યુનિટે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ઝારખંડ સહિતના ઘણાંં રાજ્યોમાં આયુષ્માન ભારત યોજના અંતર્ગત ચાલતી છેતરપિંડીના આશ્ચર્યજનક કેસો ઝડપાયા છે. માત્ર પર કાગળ પર ડમી દર્દીઓ અને ઓપરેશન બતાવીને હોસ્પિટલોએ સરકાર પાસેથી લાખો રૂપિયા પડાવ્યા છે. કેટલાક કિસ્સામાં તો પુરુષોના ગર્ભાશયને દૂર કરવાના ઓપરેશનના કેસો બનાવાયા છે.
જ્યારે ગર્ભાશય ફક્ત સ્ત્રીઓમાં હોય છે, પુરુષોમાં તેની સારવાર કે ઓપરેશનનો કોઇ સવાલ જ પેદા થતો નથી.. એક ડોકટરે એક સાથે અનેક જિલ્લાઓમાં એક જ દિવસે ઓપરેશન કર્યા હોવાના કિસ્સા પણ કેસ પેપરની તપાસમાં બહાર આવ્યા છે.
તો એક જ દર્દી પર એક જ રાતમાં અનેક પ્રકારનાં ઓપરેશન થયા હોવાના પેપર્સ રજૂ કરાયા હતા. તેનો અર્થ એ કે કેટલીક ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સારવારના બનાવટી કેસ ઊભા કરીને રીતસર સરકાર સાથે ઠગાઇ કરી રહી છે. જોકે સરકારે માત્ર નોટિસ આપીને કે યોજનામાંથી સસ્પેન્ડ કરીને સસ્પેન્ડ કરીને સંતોષ માની લીધો છે.
હકીકતમાં સરકારે કડક કાયદા બનાવીને આવી ઠગાઇ કરતા હોસ્પિટલોના સંચાલકો અને ડોકટરો સામે ફોજદારી ગુનો દાખલ કરીને કેદની સજાની જોગવાઇ કરવી જોઇએ દેશભરમાં ૯૦૦થી વધુ સેવા કેન્દ્ર અને હોસ્પિટલો સામે પગલા લેવાયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે મહિલાઓ અને પુરુષોના દર્દીઓની જુદી જુદી કેટેગરી બનાવવામાં આવશે.
જોકે સમસ્યા આ યોજનાના નામે ચાલતા કૌભાંડોનો છે. જેને રોકવા માટે એક અસરકારક તંત્ર બનાવવાની માગણી આયુષ્યમાન યોજના આવી તે પહેલાથી કરવામાં આવી રહી છે. સરકાર મોટાપાયે ગેરરરતિઓ પકડાયા બાદ હવે તે દિશામાં કોઇ ઠોસ પગલાં ભરશે કે કેમ તે હવે જોવાનું રહે છે.
હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીઓએ ખાનગી હોસ્પિટલોના ગોરખધંધાઓ પર ભલે બ્રેક મારી હોય પણ તેનાથી પ્રામાણિક અને જરૂરિયાતમંદ દર્દીઓની હાલત કફોડી થઇ છે. અનેક હોસ્પિટલોને હવે કેશલેસ સુવિધામાંથી બાકાત કરી દેવાઇ છે.
આયુષ્માન ભારત યોજના હેઠળ લાભાર્થી દર્દીઓ અનેક ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી શકે છે, પરંતુ ફ્રોડના પગલે કેટલીક હોસ્પિટલો બાકાત થતાં દર્દીઓ માટે વિકલ્પ પણ ઓછા થયા છે.એટલે નુકસાન તો છેવટે દર્દીઓને થઇ રહ્યું છે. વળી કોઇ કડક સજાની જોગવાઇ ન હોઇ ખાનગી હોસ્પિટલોના ગોરખધંધા પણ ચાલુ જ રહેશે.