ઘરવિહોણા નાગરિકોને ઘર આપી ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કર્યું
પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી અંતર્ગત એક જ દિવસમાં ૧૦,૨૫૭ લાભાર્થીઓને વિવિધ તબક્કામાં એક સાથે ૧૩,૪૦૧ હપ્તાઓની રૂ.૭૮.૬૨ કરોડની સહાય DBT મારફતે સીધા લાભાર્થીઓના બેન્ક ખાતામાં જમા કરવામાં આવી છે.તેમ રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની યાદીમાં જણાવાયુ છે.
સરકારે ઘર વિહોણાઑને ઘર આપ્યું
કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં ઘર વિહોણા તમામ નાગરિકોના માથે પાક્કી છત એટલે કે પાકા આવાસ ઉપલબ્ધ કરાવીને જીવનધોરણ ઊંચું લાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્ય સરકારે શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં નવા આવાસો તૈયાર કરીને ઘરવિહોણા નાગરિકોને ઘર આપીને તેમના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર કર્યું છે.રાજ્યના લાખો નાગરિકો પોતાના ઘરનું સપનું સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજનાના વિવિધ ઘટકો હેઠળ લાભ મેળવતા હોય છે.
સહાય લાભાર્થીઓના બેન્ક ખાતામાં જમા કરાઇ
જે અંતર્ગત BLC (બેનેફિશ્યરી લીડ કન્સ્ટ્રકશન) ઘટક હેઠળ રાજયના મહાનગરપાલિકા, નગરપાલિકા અને વિવિધ સત્તામંડળ વિસ્તારમાં પોતાની માલિકીની જમીન પર આવાસ બાંધકામ માટે રાજય સરકાર દ્વારા લાભાર્થીઓને કુલ ૬ હપ્તાઓમાં રૂ.૩.૫૦ લાખની સહાય ફાળવવામાં આવે છે. જે અંતર્ગત એક જ દિવસમાં ૧૦,૨૫૭ લાભાર્થીઓને વિવિધ તબક્કામાં એક સાથે ૧૩,૪૦૧ હપ્તાઓની રૂ.૭૮.૬૨ કરોડની સહાય DBT મારફતે સીધા લાભાર્થીઓના બેન્ક ખાતામાં જમા કરવામાં આવી હોવાનું જણાવાયું છે.