ગુજરાત કોંગ્રેસ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ ખેડૂતના મોત મામલે અને હાલ ગોંડલના મરચાંના ગોડાઉનમાં આગ લાગવાના મામલે પ્રતિક્રિયા આપી હતી. પરેશ ધાનાણીએ રાજ્ય સરકાર પર આડકતરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે જગતનો તાત જીવવા માટે સંઘર્ષ કરી કરી રહ્યો છે. નોટબંધીથી કૃષિક્ષેત્રે ભારે નુકસાન થયું છે અને ગુજરાત રાજ્ય અછતની ઝપેટમાં સપડાયું છે.
ત્યારે સરકારે ખેડૂતોને અને તેમના પશુધનને બચાવવા માટે જાહેરાત કરી રહ્યા છે. સરકાર રાજકીય રોટલા શેકવા માટે ઉત્સવોના તાયફા કરે છે પરંતુ ખેડૂતોના દેવા માફ કરતી નથી. ભાજપની સરકારે પંજાબ અને કર્ણાટકની સરકારમાંથી શીખ મેળવીને ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ.
આ ઉપરાંત તેમને ગોંડલના ગોડાઉનમા આગ લાગવા મામલે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. ગોડાઉનોમાં આગ લાગવાની ઘટનાથી મગફળી કૌભાંડની યાદ તાજી થઈ છે. સરકારના મળતીયાઓ ભ્રષ્ટાચાર છૂપાવવા માટે આ પ્રકારની પ્રવૃતીઓ કરતા હોવાના આક્ષેપ કર્યા હતા.
તમને જણાવી દઇએ કે મરચાના મેદાનમાં લાગી આગને કારણે ખેડૂતોને ફરી એક વખત મોટું નુકસાન થયું છે. ખેડૂતો પોતાના મરચા વેચવા માટે યાર્ડમાં પહોંચ્યા હતા. તે સમયે આ દૂર્ઘટના બની હતી. 40થી વધુ ખેડૂતોના મરચા આગની ઝપેટમાં આવી જતા ખેડૂતોને ફરી એક વખત મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.