કેન્દ્ર સરકારે બુધવારે નાની બચત યોજનાઓ માટેના વ્યાજ દરમાં 1.10 ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.
નાની બચત યોજનાઓ દ્વારા રોકાણ કરનાર લોકોને લાગ્યો ઝટકો
નાની બચત યોજનાઓ માટેના વ્યાજ દરમાં કરાયો ઘટાડો
નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરમાં 1.10 ટકાનો ઘટાડો
નવા દર 1 એપ્રિલ 2020 થી અમલી બનશે
નાની બચત યોજનાઓ દ્વારા રોકાણ કરતા લોકોને કેન્દ્ર સરકાર તરફથી એક ઝટકો લાગ્યો છે. નાણા મંત્રાલયે એક નોટિફિકેશન જારી કરીને જણાવ્યું કે નાની બચત યોજનાઓ પરના વ્યાજમાં 1.10 ટકાનો ઘટાડો કરાયો છે. આ નવા રેટ 1 એપ્રિલ 2021 થી અમલી બનશે.
પીપીએફ પરના વ્યાજ દરમાં 70 બેસિસ પોઈન્ટનો ઘટાડો
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ દ્વારા રોકાણ કરનાર લોકોને પણ નિરાશા હાથ લાગી છે. પીપીએફના વ્યાજ દરમાં 70 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરાયો છે. અત્યાર સુધી 7.1 ટકાના વાર્ષિક દરથી વ્યાજ મળતું હતું જે હવે ઘટાડીને 6.4 ટકા કરી દેવાયું છે. આ રીતે 5 વર્ષની નેશનલ સેવિંગ સ્કીમ પર મળનાર વ્યાજ દરમાં 90 બેસિક પોઈન્ટનો ઘટાડો કરાયો છે. પહેલા તેની પર 6.8 ટકાના દરથી વ્યાજ મળતું હતું જે હવે ઘટાડીને 5.9 ટકા કરી દેવાયું છે.
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પણ ભારે ઘટાડો
બાલિકાના શિક્ષણ અને તેના લગ્ન માટેની મહત્વની યોજના સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજ દરમાં પણ મોટો ઘટાડો કરાયો છે. અત્યાર સુધી આ યોજના પર 7.6 ટકાના દરથી વાર્ષિક વ્યાજ મળતું હતું. જેને હવે ઘટાડીને 6.9 ટકા કરી દેવાયું છે. અર્થાત તેમાં 70 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરાયો છે.
1 વર્ષની ટાઈમ ડિપોઝીટમાં 1.10 ટકાનો ઘટાડો
1 વર્ષની ટાઈમ ડિપોઝીટ પર અત્યાર સુધી 5.5 ટકા વ્યાજ મળતું હતું જેને હવે ઘટાડીને 4.4 ટકા કરી દેવાયું છે. અર્થાત આ ડિપોઝીટમાં 1.10 ટકાનો ઘટાડો કરાયો છે. બે વર્ષની ટાઈમ ડિપોઝીટમાં હવે 5.5 ટકાને બદલે 5.0 ટકા, 3 વર્ષની ટાઈમ ડિપોઝીટ પર 5.5 ટકાને બદલે 5.1 ટકા, 5 વર્ષની ટાઈમ ડિપોઝીટ પર 6.7 ટકાને બદલે 5.8 ટકા વ્યાજ મળશે.
સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમના વ્યાજમાં પણ ઘટાડો
સિનિયર સિટિઝન સેવિંગ સ્કીમના વ્યાજને પણ 7.4 ટકાથી ઘટાડીને 6.5 ટકા કરી દેવાયું છે. માસિક આવક એકાઉન્ટ પર પણ હવે 6.6 ટકાને બદલે 5.7 ટકા વ્યાજ મળશે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ પર 6.8 ટકાને બદલે 5.9 ટકા વ્યાજ મળશે.