ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે મહાનગરોમાં ખાડારાજ, ક્યાંક તંત્રના આદેશને ઘોળીને પી ગયા તો ક્યાંક તંત્ર લાગ્યુ કામે
ગુજરાતમાં વરસાદી માહોલ
મહાનગરોમાં ખાડા રાજ યથાવત
તંત્રએ આપ્યા આદેશ છતાં ક્યાંક કામગીરી ન થઇ
ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે તો બીજી તરફ તંત્રની કામગીરી પણ ઉડીને આંખે વળગી છે. કોર્પોરેશન દ્વારા ટેક્સની વસૂલાત તો કડકાઇથી કરવામાં આવે છે પરંતુ પાયાની જરૂરિયાત સંતોષવામાં તંત્રની ઢીલી કામગીરી જોવા મળી. એક તરફ તંત્ર દ્વારા કરોડોમાં વિકાસના કામોની ગણતરી કરવવામાં આવે છે તો બીજી તરફ કટકીખોર કોન્ટ્રાક્ટરોના પાપે પ્રજાએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ગુજરાતમાં વરસાદી માહોલ જામતા મહાનગરોમાં ભૂવા રાજ જોવા મળ્યુ. જેને લઇને તંત્ર દ્વારા હવે સમારકામ કરવાના આદેશ આપી દેવાયા.
અમદાવાદ : 29 ભૂવાનુ સમારકામ બાકી
અમદાવાદમાં વરસાદને કારણે ઠેર ઠેર ભૂવા રાજ જોવા મળી રહ્યો છે. વાહનચાલકોએ કયા રસ્તેથી જવુ તે વિચારવાનો વારો આવ્યો છે. કારણ કે શહેરના દરેક માર્ગો પર વરસાદી ખાડા જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીમાં અમદાવાદમાં 55 ભૂવા પડ્યાતેમાંથી 28 ભૂવાની કામગીરી તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવી છે. એએમસી દ્વારા 29 ભૂવા સમારકામની કામગીરી હાથ ધરાઇ છે. પ્રિ મોન્સૂન કામગીરીના નામે જ્યાં જ્યાં પણ કામગીરી કરવામાં આવી ત્યાં રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે.
સુરત: તંત્રની કામગીરીમાં લોલમલોલ
તો આ તરફ સુરતમાં પણ વરસાદી માહોલને કરાણે ઠેર ઠેર ખાડા પડી ગયા હતા. તંત્ર દ્વારા અઠવાડિયા અગાઉ સમારકામની કામગીરી કરવાનો આદેશ અપાયો હતો તેમ છતાં હજી પણ રસ્તાઓ પર ખાડા રાજ જોવા મળી રહ્યું છે. સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનીધિ પાનીએ ડબલ શિફ્ટમાં કામ કરીને સુરતના ખાડા રિપેર કરવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સુરતના 7 કિલોમીટર વિસ્તારમાં ખાડા પડ્યા છે. જે ત્રણ દિવસની અંદર પુરી દેવામાં આવશે. આ વાતને એક અઠવાડિયું થઈ ગયું છે. આમ છતાં સુરતના રસ્તાઓમાં ખાડારાજ જોવા મળે છે. સાથે પાલિકાએ રિપેર કરેલા રસ્તા ફરી 2 ઈંચ વરસાદમાં ધોવાયા . ઉપરાંત અમુક જગ્યાએ પાલિકાની ટીમે ખાડાની કામગીરી અધૂરી છોડી દીધી છે. જેને કારણે સુરતના વાહનચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડે છે.
ભાવનગર: એક અઠવાડિયામાં રોડ રિપેર કરવા સૂચના
તો આ તરફ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ પોતાના મતવિસ્તાર ભાવનગરમાં તૂટેલા રોડ એક અઠવાડિયામાં રિપેર કરવા સૂચના આપી. વિવિધ વિસ્તારોમાં રોડ ધોવાયા હોય તથા ભૂવા પડ્યાની અનેક ફરિયાદો મળતા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મનપા કમિશનરને સૂચના આપી હતી. ફરિયાદોને ધ્યાને રાખીને અઠવાડિયામાં જ રોડ રસ્તા રિપેર કરવા જણાવ્યુ હતું.