પોસ્ટ ઓફિસની આ યોજનામાં તમને સારું વળતર તો મળે છે પણ સાથે રોકાણ કરવામાં આવેલા પૈસા પણ સંપૂર્ણ સુરક્ષિત રાખે છે.
પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં તમને સારું વળતર મળશે
પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજનામાં વાર્ષિક 6.9 ટકા વ્યાજ દર ઉપલબ્ધ
આ યોજના હેઠળ એક પુખ્ત અથવા ત્રણ પુખ્ત વ્યક્તિઓ એક સાથે સંયુક્ત ખાતું ખોલાવી શકે
જો તમે આવનારા દિવસોમાં રોકાણ કરવાનું વિચારી રહ્યાં છો તો પોસ્ટ ઓફિસની બચત યોજનાઓમાં કરી શકો છો. આ યોજનાઓમાં તમને સારું વળતર તો મળે છે પણ સાથે તેમાં રોકાણ કરવામાં આવેલા પૈસા પણ સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખે છે. જો બેંક ડિફોલ્ટ હોય છે, તો તમને 5 લાખ રૂપિયા પરત મળશે. પરંતુ પોસ્ટ ઓફિસમાં આવું નથી. એ સિવાય પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમમાં ખૂબ જ ઓછી રકમથી રોકાણ શરૂ કરી શકાય છે. કિસાન વિકાસ પત્ર (KVP) પણ પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં સામેલ છે. ત્યારે અહીં વિગતવાર જોઇશું આ યોજના વિશે...
વ્યાજ દર
પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજનામાં વાર્ષિક 6.9 ટકા વ્યાજ દર ઉપલબ્ધ છે. આ વ્યાજ દર 1 એપ્રિલ 2020થી લાગુ થશે. આ નાની બચત યોજનામાં રોકાણ કરવાથી, તમારા પૈસા 14 મહિનામાં એટલે કે 10 વર્ષ અને 4 મહિનામાં બમણા થઈ જશે.
રોકાણની રકમ
કિસાન વિકાસ પત્ર યોજનામાં વ્યક્તિ ઓછામાં ઓછાં 1000 રૂપિયાનું રોકાણ કરી શકે છે. આ સ્કીમમાં તમારે 100 રૂપિયાના ગુણાંકમાં રોકાણ કરવું પડશે. આ યોજનામાં રોકાણ માટે કોઈ મહત્તમ મર્યાદા નથી.
જાણો કોણ ખાતું ખોલાવી શકે?
પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના હેઠળ એક પુખ્ત અથવા ત્રણ પુખ્ત વ્યક્તિઓ એક સાથે સંયુક્ત ખાતું ખોલાવી શકે છે. આ ઉપરાંત, આ યોજનામાં સગીર અથવા નબળા મનની વ્યક્તિ તરફથી વાલી પણ ખાતું ખોલાવી શકે છે. આ નાની બચત યોજનામાં 10 વર્ષથી વધુ ઉંમરના સગીર પોતાના નામે પણ ખાતું ખોલાવી શકે છે.
પરિપક્વતા
આ સરકારી યોજનામાં જમા કરવામાં આવેલી રકમ નાણા મંત્રાલય દ્વારા સમયાંતરે નિર્ધારિત કરવામાં આવેલી પાકતી મુદત પર પરિપક્વ થશે. આ યોજનામાં ડિપોઝિટની તારીખથી મેચ્યોરિટી લાગુ થશે.
મેચ્યોરિટી પહેલાં બંધ કરવી
કિસાન વિકાસ પત્ર યોજનામાં એકાઉન્ટને મેચ્યોરિટી પહેલાં અમુક પરિસ્થિતિઓમાં બંધ કરી શકાય છે. આ યોજનામાં, એક એકાઉન્ટ હોલ્ડરનું મોત થઇ જવા પર અથવા તો સંયુક્ત એકાઉન્ટમાં કોઈ પણ અથવા તો તમામ ખાતાધારકોના મોત પર બંધ થઇ શકે છે. આ સ્કીમમાં એકાઉન્ટને કોર્ટના આદેશથી પણ પાકતી મુદત પહેલાં બંધ કરવું પડશે. આ ઉપરાંત, વ્યક્તિ જમા થયાની તારીખથી બે વર્ષ અને છ મહિના પછી પણ ખાતું બંધ કરી શકે છે.