અમદાવાદ સહિત રાજ્યભરની ટપાલપેટીઓ હવે અપગ્રેડ થશે અને તેમાં બારકોડ લાગશે. આ કામગીરી શરૂ થઈ ચૂકી છે, જેના કારણે હવે નાન્યથા એપ દ્વારા ટપાલપેટીનું સ્ટેટસ પણ જાણી શકાશે. પોસ્ટ વિભાગની ઓળખ સમી લાલ કલરની ટપાલપેટી હવે બારકોડથી સજ્જ થવા આડે લાંબો સમય નહીં લાગે.
તમામ ટપાલપેટી પર બારકોડ લાગશે
ટપાલીઓએ બારકોડ સ્કેન કરવો પડશે
બારકોડ લાગેલ ટપાલપેટીમાંથી ટપાલીએ ટપાલ લેવી પડશે
અમદાવાદ સહિતના ટપાલીને મોબાઈલમાં પોસ્ટ વિભાગની નાન્યથા એપ ડાઉનલોડ કરાવી દેવામાં આવી છે, સાથે-સાથે ટપાલપેટી ઉપર બારકોડ સ્ટિકર લગાવવાનું ચાલુ છે, જેના કારણે ટપાલી હવે નાન્યથા એપની મદદથી ટપાલપેટી પર લાગેલા બારકોડના સ્ટિકરને સ્કેન કરશે.
આ અંગે નવરંગપુરા પોસ્ટ ઓફિસના મુખ્ય પોસ્ટ માસ્ટર અલ્પેશ શાહે જણાવ્યું હતું કે ટપાલપેટીમાં નખાયેલી પોસ્ટ અઠવાડિયે કે લાંબા સમયે કાઢતા હોવાનું વિભાગના ધ્યાને આવ્યું હતું, જેના કારણે જે તે લોકો સુધી ટપાલ મોડી પહોંચતી હોવાની ફરિયાદો પણ વધતી હતી. આથી વિભાગ દ્વારા હાલમાં તમામ ટપાલપેટીને અપગ્રેડ કરવાની કામગીરી ચાલી રહી છે.
હવેથી બારકોડ લાગેલ ટપાલપેટીમાંથી ટપાલીએ રોજ ટપાલ લેવી પડશે, કારણ કે નાન્યથા એપના કારણે ટપાલીએ કેટલી ટપાલ કલેક્ટ કરી એ વિગત મુખ્ય સર્વરમાં જશે અને તમામ ડેટાબેઝ પોસ્ટ વિભાગની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. તેથી ગ્રાહક પણ તેમની પોસ્ટનું સ્ટેટસ જાણી શકશે.