ભારતમાં કોરોના વાયરસ ટોપ ગીયરમાં છે. જૂન મહીનાથી કોરોના કેસમાં વધારો થઇ રહ્યો છે અને જુલાઈ મહિનાથી જ કોરોના વાયરસ દરરોજ રેકોર્ડ તોડી રહ્યું છે. દેશમાં જે રીતે કોરોના વાયરસના નવા કેસમાં વધારો થઇ રહ્યો છે તેમાં દેશની ત્રણ બાબતો ચિંતાજનક છે.
ગ્લોબલ કેસોમાં ભારતનો હિસ્સો વધ્યો
મહારાષ્ટ્રમાં વધુ જીવલેણ બની રહ્યો છે વાયરસ
પોઝિટિવિટિ રેટમાં વધારો પણ ચિંતાજનક
ભારતમાં કોરોના વાયરસનાં કેસમાં ભડકો થયો છે. શનિવારે નવા આંકડાઓના કારણે ગ્લોબલ કેસોમાં ભારતનાં કેસ વધી ગયા છે જ્યાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનાં કારણે જીવ ગુમાવનાર લોકોની સંખ્યા દસ હજારને પાર થઇ ગઈ છે.
ગ્લોબલ કેસોમાં ભારતનો હિસ્સો વધ્યો
કોરોના વાયરસનાં વધતા કેસનાં કારણે વિશ્વમાં ભારતનાં કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. શનિવારે રેકોર્ડબ્રેક કેસ સામે આવતા વિશ્વનાં કુલ કેસમાં 12 ટકા કેસ ભારતનાં છે જે શુક્રવાર સુધી 11.8 ટકા હતા.
મહારાષ્ટ્રમાં ઘાતક સાબિત થઇ રહ્યો છે વાયરસ
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ વધુને વધુ ઘાતક સાબિત થઇ રહ્યો છે. શનિવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનાં 24 કલાકમાં 223 લોકોએ જીવ ગુમાવતા કુલ મૃત્યુઆંક દસ હજારને પાર કરી ગયો છે. દેશમાં આત્યાર સુધી 22, 123 મોત કોરોના વાયરસના કારણે થઇ છે જેમાં 45% મોત માત્ર મહારાષ્ટ્રમાં જ થઇ છે.
પોઝિટિવિટિ રેટમાં વધારો
કોરોના વાયરસને લઈને પોઝિટિવિટિ રેટ સતત વધી રહ્યો છે જેનાથી ચિંતામાં પણ વધારો થયો છે. કુલ ટેસ્ટમાં કેટલા પોઝિટિવ સામે આવ્યા તે દરને પોઝિટિવિટિ રેટ કહેવાય છે. 20મી જૂને ભારતમાં પોઝિટિવિટિ રેટ પહેલીવાર 6 ટકાને પાર થયો જે હાલ 7.09ની આસપાસ પહોંચી ગયો છે. મહારાષ્ટ્રમાં તો પોઝિટિવિટિ રેટ 19 ટકાને આસપાસ પહોંચી ગયો છે.
જોકે આ બધામાં ભારત માટે રાહતની વાત એ કહી શકાય કે વિશ્વની વસ્તીમાં ભારતનો જેટલો હિસ્સો છે તે હિસાબથી કેસની સંખ્યા ઓછી છે. દુનિયાની કુલ વસ્તીમાં ભારતની હિસ્સેદારી 17.5 ટકા છે.