ખેડાના પોરડા ગામે પીવાનું પાણી મેળવવા માટે મારવા પડે છે વલખાં, સંપ હોવા છતાં એક ટીપું પીવાનું પાણી નથી મળતુ.
ખેડામાં પાણીની તંગી
પોરડા ગામને 2,000 લોકો પાણીથી વંચિત
100 વર્ષ જૂના કૂવાનું પાણી પીવા મજબૂર
શાળામાં ઉનાળો વેકેશન પડે એટલે ક્યાં તો બાળકો મામાના ઘરે જતા રહે નહી તો પરિવાર ફરવા જવાનું ગોઠવી દે. પણ ખેડાના ઠાસરામાં બાળકોને આવા નસીબ નથી . કારણ કે પરિવારના જ લોકો ભણવાનું છોડાવીને પીવાનુ પાણી ભરવા માટેનુ આયોજન કરે. કારણ કે અહીં પીવાનું પાણી મેળવવા રઝળપાટ કરવો પડે છે. જી હા, આઝાદીના આટલા વર્ષો થયા પરંતુ હાલમાં પણ આ ગામ કૂવાના સહારે જીવે છે. આ ગામ છે ઠાસરાનું પોરડા ગામ.
એક માત્ર કૂવો જ છે સહારો
2000ની વસતી ધરાવતા પોરડા ગામમાં 100 વર્ષ જૂનો એક માત્ર કૂવો પીવાના પાણી માટેનો સહારો છે. એક તરફ સરકાર નલ સે જલ યોજનાની વાત કરી રહી છે, અહીં નળ પણ નાંખવામાં આવ્યા પરંતુ પાણી આવતુ નથી.આથી સવાર પડે એટલે બાળકો, વૃદ્ધો સહિત મહિલાઓ પીવાનુ પાણી ભરવા કૂવે .દોડી જાય છે. સરકાર હાલ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરતી જોવા મળે છે પરંતુ પોરડા ગામના લોકો અમૃત સમાન પાણી પીવા માટે વલખાં મારવા મજબૂર થયા છે. આ કુવામાં સમગ્ર દિવસ દરમિયાન મહિલાઓ-વૃદ્ધો અને બાળકો પીવાનું પાણી કુવામાંથી ભરે છે. વળી ઘર વપરાશ અને પશુઓ માટે પણ પાણી કૂવેથી જ ભરવાનું.
પાણી પુરવઠા વિભાગ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ
ઠાસરા તાલુકાનું પોરડા ગામ કપડવંજ રોડ ઉપર જ આવેલું છે. અહીં પાકા રસ્તા, વીજળી, પ્રાથમિક શાળા અને બસ સહિતની સુવિધાઓ છે પરંતુ પાણી જ નથી. સરકાર દ્વાર નળ સે જળ યોજના શરુ કરવામાં આવી પાણી પુરવઠા વિભાગ દ્વારા સંપ પણ બનાવવામાં આવ્યો. વાસ્મો વિભાગ દ્વારા બાવીસ લાખના ખર્ચે ઘરે ઘરે પાઈપ લાઈન નાખીને ઘરો સુધી નળ કનેક્શન પણ નાખવામાં આવ્યા. પણ ખેડા જીલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા ખોટા ખર્ચાઓ કરી ભ્રષ્ટાચાર કર્યો હોવાનો ગ્રામજનો આરોપ લગાવી રહ્યા છે. કારણ કે આ સંપ માંથી નજીકમાં આવેલ દેવનગર ગામમાં પાણી આપવામાં આવે છે પરંતુ પોરડા ગામ હજી પાણી માટે તરસે છે.