પોરબંદર: દેશનો પાયો જ્યાં ઘડવાનો છે તે આંગણવાડીના પાયા જ નહીં આખે આખી ઈમારત ખંડેર બની ગઈ છે. પોષણની મોટી વાતો કરતી સરકાર બાળકોને બેસવા માટે યોગ્ય ભોંય તળિયું પણ ઉપલબ્ધ કરાવી શકતી નથી. નવા બનેલા આંગણવાડી ભવનમાં ભ્રષ્ટાચારના પાપે બાળકો શાંતિથી બેસી શક્યા નહીં અને ઉખડી ગઈ ફરસ અને પોપડાં પાડવા લાગી છત. જોઈએ કોઈ બાળકનો ભોગ લેવાની રાહ જોતી બાલવાડીનો આ અહેવાલ.
ઉલ્લેખનીય છે કે તૂટેલાં બારીબારણાં દીવાલોમાં પડી ગયેલી તિરાડો છત પર ઝેરી ભમરાઓના ઘર ને ભોંયતળિયે પાથરેલા પથ્થરાઓ આ દ્રશ્યો ગામના છેવાડે આવેલા કોઈ અવાવરું મકાનના નથી. પરંતુ આ દ્રશ્યો છે જ્યાં આ દેશનું કુમળું ભાવિ ભણતરના પ્રથમ પાઠ શીખે છે. તે આંગણવાડીના પોરબંદર નજીકના દેગામ ગામે દલિત ફળિયામાં ચાલતી આંગણવાડીની દુર્દશા છેલ્લાં 8 વર્ષથી ભયજનક છે. તાયફાઓમાં અને અનેકવિધ યોજનાઓના માર્કેટિંગમાં વ્યસ્ત સરકારનું ધ્યાન હજુ સુધી આ આંગણવાડી તરફ ગયું નથી.
આ આંગણ વાડીના બાંધકામને હજું માંડ દસ વર્ષ થયા છે. પરંતુ ભ્રષ્ટાચારના સિમેન્ટ અને લાલિયાવાડીની ઈંટોથી બંધાયેલા આ આંગણવાડી ભવનની કાંકરીઓ માત્ર 4 વર્ષના ગાળામાં જ ખરવા માંડી હતી. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં આ આંગણવાડી કેંન્દ્ર તરફ કોઈનું ધ્યાન ન ગયું અને વર્ષો વીતતા જોત જોતામાં આ આંગણવાડી ભવન ખંડેર હાલમાં બની ગયું. દેશનું કુંમળુ ભાવિ જ્યા ભણતરના પ્રથમ પાઠ શીખે છે તે જગ્યા યાતનાઓના ખંડેર જેવી બની ગઈ છે.
ઉલ્લેખનીય છે કે આ આંગણવાડીમાં બાળકોને બેસાડવા માટે ભોંય તળિયાના નામે કાંકરાઓ પાથરેલા છે. જયાં કુમળા બાળકો બેસી શકતા નથી. આંગણવાડીના બારી-બારણા તૂટેલી હાલતમાં છે. આ આંગણવાડીમાં 0 થી 5 વર્ષ સુધીના 42 બાળકો આવે છે. આ બાળકો છેલ્લા 8 વર્ષથી આ જર્જરિત ખંડ જેવી આંગણવાડીમાં બેસે છે. બાળકો માટે શૌચલયની કે પીવાના પાણીની કોઈ વ્યવસ્થા નથી. છેલ્લાં 8 વર્ષથી અનેક બાળકો આ ભયજનક આંગણવાડીમાં અભ્યાસ કરી રહ્યા છે.
પરંતુ તંત્ર પાસે આંગણવાડી રિપેરિંગ માટે સમય નથી. જ્યારે તંત્રને આ અંગે પુછવામાં આવ્યું તો કહે છે આગમી દિવસોમાં આ આંગણવાડીનું રિપેરિંગ કામ શરૂ થઈ જશે. જો કે બાળકોના વાલીઓ તંત્રનો આ બીબાઢાળ જવાબ વર્ષોથી સાંભળીને કંટાળી ગયા છે. અહીં કોઈ બાળક ભોગ બને તે પહેલા સરકાર વહેલી તકે આ આંગણવાડી રિપેર કરે છે કે નહીં તે હવે જોવું રહ્યું.