પોરબંદરમાં સોનાના ઘરેણા માટે દેરાણીએ જેઠાણીને મોતને ઘાટ ઉતારી દીધી હોવાનું સામે આવતા 8 માંસ અગાઉ થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે.
8 માસ પૂર્વે થયેલી વૃધ્ધાની હત્યાનો ભેદ ઉકેલાયો
મૃતક વૃધ્ધાનાં કૌટુંબિક દેરાણીની ખૂલી સંડોવણી
પેરોલ ફર્લો સ્કવોર્ડ તથા રાણાવાવ પોલીસને સફળતા
રાણાવાવમાં આજથી આઠ માસ પૂર્વે વૃધ્ધાની હત્યા કરી અને લૂંટ કરવામાં આવી હતી. આ બનાવનો ભેદ ઉકેલવામાં પેરોલ ફર્લો સ્કવોર્ડ તથા રાણાવાવ પોલીસને સફળતા મળી છે. આ બનાવને વૃધ્ધાનાં કૌટુંબિક દેરાણીની સંડોવણી ખૂલવા પામી છે.
રૂા.90 હજારની લૂંટ કરાઇ હતી
રાણાવાવમાં ગત જાન્યુઆરી માસમાં ગોપાલપરા વિસ્તારમાં રહેતા સાજણબેન કરશનભાઇ લાખાણા નામના વૃધ્ધાની હત્યા કરી સોનાના ઘરેણાં અને રોકડ રકમ સહિત કુલ રૂા.90 હજારની લૂંટ કરવામાં આવી હતી. આ અંગેની ફરિયાદ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઇ હતી.ફરિયાદના પગલે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી.પરંતુ પુરાવાના અભાવે આરોપી સુધી પહોચવામાં પોલીસનો પનો ટૂંકો પડતો હતો. પરંતુ આ મર્ડર વીથ લૂંટનો ભેદ ઉકેલવામાં અંતે પોરબંદર પેરોલ ફર્લો સ્કવોર્ડ તથા રાણાવાવ પોલીસને સફળતા મળી છે.
કૌટુંબીક દેરાણી ગંગાબેનની સંડોવણી સામે આવી
પોલીસે 8 માસ બાદ હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સર્વેલન્સની મદદથી ઉંડાણ પૂર્વક તપાસ કરતાં આ હત્યામાં મૃતક વૃધ્ધાનાં કૌટુંબીક દેરાણી ગંગાબેન લાલજીભાઈ લાખાણાની સંડોવણી હોવાની શંકાનાં આધારે પોલીસે તેમની અટકાયત કરી અને પુછપરછ કરતાં સમગ્ર હકિકત બહાર આવી હતી. આ મહિલા સામે હત્યા અને લૂંટનો ગુનો રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. આજે મર્ડર વીથ લૂંટની ઘટના અંગે ડીવાયએસપી ઋતુ રાબાએ પ્રેસ કોન્ફરન્સ યોજી અને સમગ્ર વિગત જાહેર કરી હતી. 8 માસ બાદ હત્યા અને લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.